નવજોત સિંહ સિદ્ધુને આજે પટિયાલાની સ્થાનિક કોર્ટમાં આત્મસમર્પણ (સરેન્ડર) કરશે. સુપ્રીમ કોર્ટે 1988ના 'રોડ રેજ' કેસમાં સિદ્ધુને એક વર્ષની જેલની સજા ફટકારી છે.
સિદ્ધુ આજે પટિયાલાની સ્થાનિક કોર્ટમાં આત્મસમર્પણ કરશે
1988ના 'રોડ રેજ' કેસમાં સુપ્રીમ કોર્ટે ફટકારી છે એક વર્ષની જેલની સજા
સિદ્ધુને આપવામાં આવેલી Y+ સુરક્ષા પણ પરત લઇ લેવાશે
પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને 1988ના 'રોડ રેજ' કેસમાં સુપ્રીમ કોર્ટે એક વર્ષની જેલની સજા ફટકારી છે. આજે તેઓ પટિયાલાની સ્થાનિક કોર્ટમાં આત્મસમર્પણ કરશે. કોર્ટના નિર્ણય બાદ સિદ્ધુને આપવામાં આવેલી Y+ સુરક્ષા પણ પરત લઇ લેવાશે.
પટિયાલા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરિન્દર પાલ લાલીએ પાર્ટી સમર્થકોને એક મેસેજમાં કહ્યું કે, સિદ્ધુ સવારે કોર્ટ પહોંચશે. તેમણે પક્ષના સમર્થકોને પણ કોર્ટ પરિસરમાં પહોંચવા વિનંતી કરી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સિદ્ધુની પત્ની નવજોત કૌર પણ ગુરુવારે રાત્રે લગભગ 9:45 વાગ્યે અમૃતસરથી પટિયાલા પહોંચી હતી.
બીજી તરફ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. સિદ્ધુએ કહ્યું હતું કે, "હું કાયદાનું સન્માન કરીશ". તમને જણાવી દઇએ કે, 34 વર્ષ પહેલાં 1988ની એક ઘટનામાં એક 65 વર્ષીય વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તે સમયે સિદ્ધુની ઉંમર લગભગ 25 વર્ષની હતી.
27 ડિસેમ્બર 1988ની સાંજે સિદ્ધુ પોતાના મિત્ર રુપિન્દર સિંહ સંધૂ સાથે પટિયાલાના શેરાવાલે ગેટના બજારમાં પહોંચ્યા હતાં. આ જગ્યા તેઓના ઘરથી માત્ર 1.5 કિમી જ દૂર છે. તે સમયે સિદ્ધુ ક્રિકેટર હતા. એ વખતે એ જ માર્કેટમાં કાર પાર્કિંગને લઈને 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે તેઓની દલીલ થઈ હતી. આ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. સિદ્ધુએ ગુરનામ સિંહને ઘૂંટણિયે પછાડ્યા હતા. ત્યાર બાદ ગુરનામ સિંહને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેઓનું મૃત્યુ થયું હતું. જો કે, એવાં અહેવાલો પણ સામે આવ્યા હતા કે ગુરુનામ સિંહનું મૃત્યુ હાર્ટએટેકથી થયું હતું. એ સમયે સિદ્ધુ અને તેમના મિત્ર બંને પર કેસ થયો હતો. આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો. 1999માં સેશન્સ કોર્ટે આ કેસ ફગાવ્યો. બાદમાં 2002માં પંજાબ સરકારે સિદ્ધુ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી. એ દરમિયાન સિદ્ધુ રાજકારણમાં આવ્યા અને ડિસેમ્બર 2006માં હાઈકોર્ટનો ચુકાદો આવ્યો.
હાઈકોર્ટે સિદ્ધુ અને સંધૂને દોષિત ઠેરવતા 3-3 વર્ષની કેદની સજા ફટકારી હતી
હાઈકોર્ટે સિદ્ધુ અને સંધૂને દોષિત ઠેરવતા 3-3 વર્ષની કેદની સજા ફટકારી હતી. સાથે એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. સિદ્ધુ તે સમયે 2004ની લોકસભા ચૂંટણી ભાજપની ટિકિટ પરથી જીત્યા હતા. આ ચુકાદા બાદ તેઓએ લોકસભામાંથી રાજીનામું આપ્યું હતું. પરંતુ તેઓએ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આથી સિદ્ધુ તરફથી દિવંગત નેતા અરુણ જેટલીએ કેસ લડ્યો હતો અને સુપ્રીમે હાઈકોર્ટના ચુકાદા પર રોક લગાવી દીધી હતી. પરંતુ પીડિત પરિવારે સુપ્રીમમાં રિવ્યૂ પિટીશન દાખલ કરી અને હવે સુપ્રીમ કોર્ટે આ કેસમાં પોતાનો ચુકાદો બદલતા સિદ્ધુને એક વર્ષની સજા ફટકારી છે.
અગાઉ આ કેસમાં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો
આ કેસમાં સુપ્રીમ કોર્ટે સિદ્ધુને પહેલાં માત્ર એક હજાર રૂપિયાનો દંડ ફટકારીને છોડી દીધા હતાં. તેની વિરૂદ્ધ પીડિત પરિવારે પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. જેને સુપ્રીમ કોર્ટે સ્વીકાર કરી લીધી અને પછી સિદ્ધુને એક વર્ષની કઠોર કેદની સજા સંભળાવી.
કોર્ટે શું નિર્ણય સંભળાવ્યો?
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે નવજોત સિંહ સિદ્ધુને આ જ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે મે 2018માં સિદ્ધુને આ કેસમાં 65 વર્ષીય ગુરનામ સિંહને "ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવાના" ગુનામાં દોષિત ઠેરવ્યા હતા, પરંતુ કોર્ટે રૂપિયા 1000નો દંડ ફટકાર્યા બાદ તેઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યાર બાદ મૃતકના પરિવારે રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. જેની પર ખંડપીઠે કહ્યું હતું કે, "અમને લાગે છે કે રેકોર્ડમાં ભૂલ સ્પષ્ટ છે. આથી, અમે સજાના મુદ્દે પુનર્વિચાર અરજીને સ્વીકાર કરી. દંડ ઉપરાંત અમે એક વર્ષની કેદની સજા ફટકારવાને યોગ્ય માનીએ છીએ.'