ગુજરાતનો એક એવો નેતા જેને થોડાક વર્ષો પહેલા ગણ્યાગાંઠ્યા લોકો જ માત્ર ઓળખતા હતા. પરંતુ ઉના દલિત કાંડની એક એવી ઘટના બની કે જેને ગુજરાતના એક યુવાને દેશભરમાં ખ્યાતિ અપાવી દીધી.
એટલું જ નહીં આ યુવાન નેતા પણ બની ગયો અને રાજ્યની વિધાનસભામાં પણ બેસવા લાગ્યો. આ યુવાન એટલે દલિત આંદોલનકારી અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી. કટ્ટર મોદી વિરોધી મેવાણીએ 2017ની વિધાનસભા ચૂંટણી પહેલા અને 2019ની ચૂંટણીમાં ભાજપને હરાવવા અનેક પ્રયાસો કર્યા. દેશમાં સૌથી ચર્ચિત ચહેરો રહ્યો.
દલિત કાંડથી દલિતોના મસીહા
એક એવો નવ યુવાન કે જે ઉના દલિત કાંડથી દલિતોના મસીહા બની ઉભરી આવ્યો. ઉના કાંડ વખતે તેણે દલિતો માટે અવાજ ઉઠાવ્યો અને દલિતોમાં છવાઈ ગયો. જો કે એ સવાલ છે કે જે મુદ્દાને કારણે જીજ્ઞેશ મેવાણી માર્કેટમાં આવ્યા તે મુદ્દાને કેટલો ન્યાય મળ્યો.
પરંતુ ઉના કાંડે જીજ્ઞેશ મેવાણીને હીરો બનાવી દીધો તેમાં કોઈ બેમત નથી. ગુજરાતમાં છવાઈ ગયા બાદ મેવાણીએ રાજ્ય બહાર દલિતોના નામે રાજકારણ શરૂ કર્યું. દલિતોના પ્રશ્ને આંદોલનો શરૂ કર્યા. અને પોતાના આક્રમક ભાષણથી ભાજપ અને મોદી સરકારને હચમચાવવાનું શરૂ કર્યું. તો દેશભરના દલિતોએ પણ મનભરીને પોતાના આ યુવા આંદોલનકારીને સહયોગ આપ્યો. અને ધીરે ધીરે આ આંદોનકારી કોંગ્રેસના સહયોગથી નેતા બની ગયો. અને 2017માં બની ગયો અપક્ષનો ધારાસભ્ય.
2017માં બન્યા ધારાસભ્ય
જીજ્ઞેશ મેવાણીએ 2017માં કોંગ્રેસના સહયોગથી વડગામથી અપક્ષ ઉમેદવારી કરી હતી. અને જીત પણ મેળવી લીધી. આજે જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસના ધારાસભ્ય છે. 2017માં તો તેમણે ગુજરાતની અને કેન્દ્રની ભાજપ સરકાર પર હુમલા કરવાની કોઈ કસર છોડી ન હતી.
પોતાના આક્રમક ભાષણોથી મેવાણીએ વિરોધીઓ પર જોરદાર વાર કર્યા. તો ઘણીવાર મેવાણી ભાન પણ ભૂલિ ગયા અને વિવાદીત નિવેદનો પણ આપી દીધા. પરંતુ આ તમામ ઘટનાક્રમને કારણે મેવાણી એક સામાન્ય આંદોલનકારીમાંથી રાષ્ટ્રીય નેતા બની ગયો.
દલિતોમાં જીજ્ઞેશ મેવાણીની એક આગવી ઓળખ
આજે દેશભરના દલિતોમાં જીજ્ઞેશ મેવાણીની એક આગવી ઓળખ છે. મેવાણી હવે સમગ્ર દેશમાં દલિતોના નામે રાજકીય રોટલા શેકે છે. દલિતોના અધિકારની વાત કરે છે. પરંતુ દલિતોના કેટલા પ્રશ્નોને તે ન્યાય અપાવી શક્યા તે એક પહેલી છે. પરંતુ મેવાણી તેમના સંબોધનમાં ક્યારેય ભાજપ અને પ્રધાનમંત્રી મોદીને કોસવાનું છોડતા નથી.
2017ની વિધાનસભા ચૂંટણીમાં જીજ્ઞેશ મેવાણીએ ઈનડાયરેક કોંગ્રેસને મોટો સપોર્ટ કર્યો હતો. તો સામે કોંગ્રેસે પણ મેવાણીને એક બેઠક પર સમર્થન આપીને ધારાસભ્ય બનાવી લીધો. પરંતુ 2019ની લોકસભામાં મેવાણીના દર્શન ગુજરાતમાં ઓછા અને રાજ્ય બહાર વધુ જોવા મળ્યા.
ખાસ કરીને મેવાણી બિહારમાં વધુ જોવા મળ્યા. જીજ્ઞેશ મેવાણી બિહારની બેગુસરાય બેઠકથી ચૂંટણી લડી રહેલા કનૈયા કુમારના પ્રચારમાં જોવા મળ્યા. કનૈયા કુમાર લેફ્ટમાંથી ભાજપના ગિરિરાજસિંહ સામે ચૂંટણી લડી રહ્યા છે. મેવાણી અને કનૈયાકુમાર સારા મિત્રો છે તેથી જીજ્ઞેશ મેવાણી સમગ્ર ચૂંટણી દરમિયાન બેગુસરાયમાં વધુ જોવા મળ્યો. અને કનૈયા માટે અલગ અલગ રીતે મત માગ્યા. અને સભાઓ ગજવી. તો બેગુસરાયમાં પણ પ્રધાનમંત્રી મોદી અને ભાજપ સામે આકરા પ્રહારો કર્યા.
રાજકારણીઓ સાથે ઘરોબો
જીજ્ઞેશ મેવાણી હવે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ કરતા રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સાથે વધુ દેખાય છે. કોઈ વાર કનૈયાકુમાર સાથે. તો કોઈ વાર દલિત નેતા ચંદ્રશેખર રાવણ સાથે જય જય ભીમના સુત્રો લગાવતા નજરે પડે છે.
તો કોઈ છેક બંગાળમાં મમતા બેનર્જી સાથે સ્ટેજ શોભાવે છે. અને બંગાળની ધરતી પરથી મોદી સામે આકરા વાર કરે છે. 2019ની ચૂંટણી દરમિયાન સુત્રો પાસેથી એવી પણ માહિતી મળી હતી કે મેવાણીને કચ્છ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવી હતી. અને તેના માટે તેમને કોંગ્રેસનું સમર્થન માગ્યું હતું.
પરંતુ કોંગ્રેસ એ શરતે જ સમર્થન આપતા તૈયાર હતી કે જો મેવાણી કોંગ્રેસમાં સામિલ થાય અને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડે. સામે મેવાણી અપક્ષ લડવા માગતા હતા. પરંતુ કોંગ્રેસ તેના માટે રાજી ન થઈ. આમ હવે જીજ્ઞેશ મેવાણી માત્ર એક ધારાસભ્ય જ નહીં પણ રાષ્ટ્રીય નેતા છે. અને તેમની મહત્વકાંક્ષાઓ સતત વધી રહી છે.