PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે અંતિમ દિવસે PM મોદી રાજકોટમાં ટૂંકુ રોકાણ કરશે અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ
PM મોદી રાજકોટ અને અમદાવાદની મુલાકાત લેશે
અમદાવાદીઓને આપશે ભેટ અને રાજકોટમાં કરશે ટૂંકું રોકાણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થયો છે ત્યારે વડાપ્રધાન મોદી આજે ફરી અમદાવાદની મુલાકાત લેશે. ત્યારે શું છે તેમનો આજનો પ્લાનિંગ તેના પર એક નજર નાખીએ....
PM મોદી આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સિવિલ કેમ્પસમાં વડાપ્રધાન મોદી રૂપિયા 712 કરોડની સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. જેમાં હૃદયની અદ્યતન સારવાર માટે આધુનિક મશીનોનું લોકાર્પણ વડાપ્રધાન મોદી કરશે. સાથે રૂપિયા 54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓનું લોકાર્પણ અને હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેના કેન્દ્રનું લોકાર્પણ કરશે.
તદુપરાંત UN મહેતા હોસ્પિટલમાં 10 માળની હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં બે બેઝમેન્ટ, 176 રૂમ, સેન્ટ્રલ લાઇબ્રેરી અને મ્યુઝિયમ બનાવાયું છે. જેનું વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે. સાથે વડાપ્રધાન મોદી રૂપિયા 408 કરોડના ખર્ચે તૈયાર થયેલી કિડની રિસર્ચ હોસ્પિટલનું લોકાર્પણ અને મેડિસીટીમાં રૂપિયા 140 કરોડના ખર્ચે નિર્મિત GCRI અને IKDRCની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરશે.
આ સાથે 408 કરોડના ખર્ચે તૈયાર 850 બેડની સુવિધાની હોસ્પિટલનું લોકાર્પણ કરશે. જેમાં 22 હાઇટેક ઓપરેશન થિયેટર, 12 ICU, આધુનિક લેબોરેટરી અને એક સાથે 62 ડાયાલિસીસ કરવાની સુવિધા ઉપલબ્ધ બનશે. સાથે જ વડાપ્રધાન મોદી રૂપિયા 140 કરોડના ખર્ચે બનેલી નવી બિલ્ડિંગ ‘સી’નું લોકાર્પણ કરશે. જેને કારણે જનરલ વોર્ડના બેડની સંખ્યા વધીને 187 થશે. ઉપરાંત બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ 4થી વધીને 11 થશે. સાથે જ વડાપ્રધાન મોદી લાઇબ્રેરી અને 317 સિટીંગ ક્ષમતાના ઓડિટોરિયમનું લોકર્પણ કરશે.
જાણો આજનો PM મોદીનો કાર્યક્રમ
સવારે 11:00 કલાકે જામકંડોરણા જવા રવાના થશે.
જામકંડોરણામાં જંગી જનસભાને સંબોધન કરશે.
બપોરે રાજકોટથી અમદાવાદ પહોંચશે પીએમ.
બપોરે 1:00 કલાકે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
ત્યાર બાદ સાંજે 4:00 કલાકે અમદાવાદ એરપોર્ટથી મધ્યપ્રદેશ જવા રવાના થશે.
જાણો રાજકોટમાં શું છે આજનું આયોજન?
રાજકોટના જામકંડોરણામાં PM મોદીની જનસભા
જામકંડોરણાંના ઇતિહાસમાં પહેલીવાર કોઈ PM આવી રહ્યા છે