દિલ્હી: રિઝર્વ બેંકના હાઇવોલ્ટે ડ્રામાનો આજે અંત આવી શકે છે. સરકાર અને RBIના વિવાદના વાતાવરણ વચ્ચે RBI બોર્ડની બેઠક મળવા જઈ રહી છે ત્યારે સરકાર સમર્થિત બોર્ડના સભ્યો RBI પર પોલીસી બદલવા માટે દબાણ લાવી શકે છે. RBIના બોર્ડમાં કુલ 18 સભ્યો છે.
તેમાના કેટલાક સભ્યો સરકારે નિમેલા છે. કેન્દ્ર સરકારની નજર RBIમાં રહેલા અનામત ભંડોળ પર છે. અર્થશાસ્ત્રીઓના મતે સરકારની આ નીતિના કારણે RBIની સ્વતંત્રતા જોખમાશે. જોકે સરકારને ચૂંટણી પહેલા લ્હાણી કરવા માટે RBI પાસેથી નાણા જોઈએ છે.
પરંતુ RBIના મત પ્રમાણે આ નાણા લાંબાગાળાના આયોજન માટે અનામત રહેવા જરૂરી છે. RBI મુજબ સરકાર ચૂંટણીલક્ષી વિચારે છે જ્યારે RBIને લાંબુ આયોજન કરવાનું હોય છે. સરકારે RBI પર દબાણ લાવવા માટે RBI એક્ટના સેક્શન 7નો ઇતિહાસમાં પ્રથમ વખત ઉપયોગ પણ કર્યો છે. ત્યારે RBI અને સરકારના વિવાદ મુદ્દે RBI બોર્ડની બેઠક બાદ ચિત્ર સ્પષ્ટ થવાના એંધાણ છે.
સરકાર અર્થવ્યવસ્થાની ગતિન ઝડપી બનાવવા માગે છે. પરંતુ RBIનો વ્યવહાર નડતરરૂપ બને છે. તો આ તરફ ગવર્નર ઉર્જીત પટેલ કેટલાક લોકોના દબાણથી વશ થયાં વગર આજની બેઠકમાં પોતાની નીતિઓ અંગેની મજબૂત રજૂઆત કરી શકે છે. ત્યારે હવે આજની બેઠકમાં જોવું જ રહ્યું કે શું પરીણામ આવે છે.