દેશમાં છેલ્લાં કેટલાંય દિવસથી કોરોનાના કેસ બેકાબુ ગતિએ આગળ વધી રહ્યાં છે ત્યારે આજે છેલ્લાં 24 કલાકમાં નવા 3 હજારની નજીક કેસ નોંધાયા છે.
દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,927 કેસ
32 લોકોના કોરોનાથી મોત તો સંક્રમણનો દર 0.58 ટકા
એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 16 હજાર 279 થઈ ગઈ
ભારતમાં સતત કોરોનાના કેસોમાં ઉછાળો આવી રહ્યો છે. ત્યારે આજ રોજ દેશમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 2,927 કેસ નોંધાયા છે. જ્યારે 32 લોકોના કોરોનાથી મોત થયા છે. હાલમાં દેશમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 16 હજાર 279 થઈ ગઈ છે. હાલમાં દેશમાં કોવિડ સંક્રમણનો દર 0.58 ટકાએ યથાવત છે. ગઈ કાલે 2,252 લોકોએ કોરોનાને માત આપી હતી.
COVID-19 | India reports 2,927 fresh cases and 2,252 recoveries, in the last 24 hours. Active cases 16,279
ગઈ કાલે ભારતમાં કોરોના માટે 5,05,065 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું છે કે ગઈ કાલે ભારતમાં કોરોના વાયરસ માટે 5,05,065 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. ગઈ કાલ સુધીમાં કુલ 83,59,74,079 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બપોરના 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજવાના છે. જેમાં પીએમ મોદી દેશભરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.
દેશમાં 5-12 વર્ષના બાળકોને અપાશે કોરોના વેક્સિન
તમને જણાવી દઇએ કે, હવેથી દેશમાં 5-12 વર્ષના બાળકોને કોર્બેવેક્સની રસી અને 6-12 વર્ષના બાળકોને કોવેક્સિન રસી આપવામાં આવશે. DCGI એ તેની માટે ઇમરજન્સીના ઉપયોગ માટેની મંજૂરી પણ આપી દીધી છે. આ સાથે જ 12 વર્ષથી વધુ વયજૂથ માટે 'ZyCoV-D'ના 2-ડોઝવાળી વેક્સિનને પણ મંજૂર કરવામાં આવી છે.
દિલ્હી-ગાઝિયાબાદમાં કેસો વધી રહ્યાં છે
રાજધાની દિલ્હી સહિત ઘણાં એવાં રાજ્યો છે કે જ્યાં કોરોનાના કેસો ખૂબ જ ઝડપથી વધી રહ્યાં છે. દિલ્હીમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1204 કેસ નોંધાયા છે. અહીં એક્ટિવ કેસની સંખ્યા 4508 એ પહોંચી છે. આ સાથે ગાઝિયાબાદમાં પણ ફરી એક વાર કોરોનાના કેસોએ જોર પકડ્યું છે. છેલ્લાં 24 કલાકમાં અહીં 75 નવા કેસ નોંધાયા છે. ગાઝિયાબાદમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને 298 થઈ ગઈ છે.