આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ટી-20ની છેલ્લી મેચ છે, આજે ભારત આ મેચ જીતીને ઈતિહાસ સર્જી શકે છે.
2-2 ની બરાબરીથી ચાલી રહી છે સિરીઝ
આજે થશે બન્ને ટીમોનો નિર્ણાયક મેચ
વરસાદની પણ સંભાવના સેવાઈ રહી છે
ઈતિહાસ રચાશે
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પાંચમી અને છેલ્લી ટી-20 મેચ આજે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાશે. પાંચ મેચની આ સિરીઝ હવે 2-2થી બરાબરી પર છે. આજે ટીમ ઈન્ડિયા પાસે ઈતિહાસ રચવાની તક છે. આજ સુધી ભારતીય ટીમ દેશમાં ટી-20 શ્રેણીમાં દક્ષિણ આફ્રિકાને હરાવી શકી નથી.
ટીમના કેપ્ટન રિષભ પંત
દક્ષિણ આફ્રિકા ભારત સૌપ્રથમ વખત 2015-16 માં ટી-20 શ્રેણી રમવા માટે આવ્યું હતુ. 3 મેચની આ સીરિઝમાં ભારતને 2-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લી ટી-20 મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ સિરીઝમાં ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હતા. આ પછી, દક્ષિણ આફ્રિકાની ટીમ 2019-20 માં ટી -20 શ્રેણી રમવા માટે ભારત આવી હતી. આ સિરીઝમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હતા. 3 મેચની સિરીઝ 1-1થી બરાબરી પર રહી હતી અને આ સિરીઝ પણ એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. હવે આજે પહેલી વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી રહેલા રિષભ પંત પાસે આ મેચ જીતવાની સાથે સાથે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવવાની ગોલ્ડન તક છે.
વરસાદ બગાડી શકે છે રમત
પાંચમી ટી-20માં હવામાન રમત બગાડી શકે છે. હવામાન વિભાગના રિપોર્ટ મુજબ રવિવારે બેંગલુરુમાં દિવસભર વરસાદ પડવાની સંભાવના છે. Acuweather.com મુજબ રવિવારે સાંજે બેંગલુરુમાં તાપમાન 21 ડિગ્રી રહેશે અને વરસાદની સંભાવના 50 ટકાથી વધુ છે. સાથે જ પવનની ગતિ પ્રતિ કલાક 28 કિમી રહેશે.
સ્પિનર બોલરેને મળશે મદદ
ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ બેટ્સમેનોને મદદ કરશે. આવી સ્થિતિમાં ટોસ જીતનારા કેપ્ટનનો નિર્ણય પહેલા બોલિંગ કરવાનો હોવો જોઈએ, કારણ કે અહીં લક્ષ્ય મળ્યા પછી આરામથી તે લક્ષને પાર કરી શકાય તેવું જણાવાય છે. સાથે જ અહીં સ્પિન બોલરોને મદદ મળશે તેવી ઉમ્મીદ છે. અત્યાર સુધી બન્ને ટીમો વચ્ચે 19 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ ચૂકી છે, જેમાંથી 11 મેચમાં ટીમ ઇન્ડિયાનો વિજય થયો છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકા આઠ મેચ જીતવામાં સફળ રહ્યું છે. ભારતમાં બંને ટીમો આઠ વખત આમને-સામને આવી છે, જેમાંથી સાઉથ આફ્રિકા પાંચ મેચ જીતી ચૂક્યું છે. ભારતે ઘરઆંગણે માત્ર ત્રણ મેચ જીતી છે.
આ સ્ટેડીયમમાં ભારતના રેકોર્ડ
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતે પાંચ મેચ રમી છે, જેમાંથી ટીમ માત્ર બેમાં જ જીતી છે અને ત્રણ મેચ હારી ચુકી છે. ભારતે આ મેદાન પર બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડને હરાવ્યું છે, જ્યારે પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડયો છે.
કાર્તિક અને હાર્દિક પર આશા
રાજકોટમાં રમાયેલી ચોથી ટી-20માં દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યાએ ધમાકેદાર ઈનિંગ રમીને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બંને વચ્ચે 35 બોલમાં 65 રનની ભાગીદારી થઈ હતી. કાર્તિકે 27 બોલમાં 55 રન બનાવ્યા હતા. આ સાથે જ હાર્દિકે 31 બોલમાં 46 રનની શાનદાર ઇનિંગ રમી હતી. છેલ્લી ટી-20માં આ બંને ખેલાડીઓ પર અપેક્ષા રહેશે. ટીમના મિડલ ઓર્ડરમાં આ બંને ખેલાડીઓ ફોર્મમાં જોવા મળી રહ્યા છે. આ મેચોમાં રિષભ પંત અને શ્રેયસ અય્યરનું બેટ શાંત જોવા મળ્યું હતું .
કાર્તિકે આ સિરીઝની 4 મેચમાં 46ની એવરેજથી 92 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ 158.62 છે. તે જ સમયે, હાર્દિક પંડ્યાએ શ્રેણીની 4 મેચોમાં 153.94 ના સ્ટ્રાઇક રેટથી 117 રન બનાવ્યા છે.