મોદીએ બંગાળનાં દીદીને તેના ગઢમાં જ ઘેર્યાં. તો અમિત શાહે પણ બંગાળમાં ભાજપ 23થી વધુ સીટ મેળવશે તેવુ નિવેદન આપ્યું હતું. ત્યારે બંગાળમાં 42 સીટ પૈકી અડધાથી વધુ સીટ ભાજપના પાલામાં આવે તો નવાઈ નહીં. મમતાએ પોતાનો ગઢ બચાવવા માટે આ વખતે એડીચોટીનું જોર લગાવ્યુ હતું. પરંતુ તેમ છતાં મોદી-શાહની જોડી મમતાના ગઢમાં ગાબડું પાડવા સફળ રહ્યા છે.
ઓડિસામાં એકહથ્થુ રાજ ચલાવનારા નવીન પટનાયકની પાર્ટીને પણ મોદીની આંધી નડી ગઈ છે. લોકસભાની 21 બેઠકવાળા ઓડિસામાં ભાજપ બીજા નંબરની પાર્ટી તરીકે બહાર આવ્યું. જોકે, વિધાનસભામાં નવીન પટનાયક પોતાનો જાદુ જાળવી રાખવા જરૂર સફળ થયા છે.
25 વર્ષની દુશ્મની ભૂલી એક થયેલાં માયાવતી અને અખિલેશ યાદવના સપના પર પણ મોદીની લહેરે પાણી ફેરવી દીધું. જાતિવાદને નામે ત્યાં કંઈ ન ચાલ્યું. ચાલ્યું તો માત્ર મોદીનુ નામ. જોકે, 2014 જેટલી સફળતા ભાજપને યૂપીમાં નથી મળી પણ માયાવતી અને અખિલેશનો કરિશ્મા ન ચાલવા દેવામાં ભાજપ સફળ રહી છે તે જરૂર કહી શકાય.
વિપક્ષી નેતાઓમાં શરદ પવારનું કદ એવું છે કે તે મોદીને ટક્કર આપી શકે તેમ હતાં. પરંતુ મહારાષ્ટ્રમાં એનસીપી-કોંગ્રેસની જોડી ઊંધા માથે પટકાઈ છે. જે શરદ પવાર પ્રધાનમંત્રીની રેસના દાવેદાર મનાતા હતાં. તે પોતાનો કિલ્લો બચાવવા પણ નિષ્ફળ ગયા છે.
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દિલ્હીની સાતેય સીટ જીતવાનો દાવો કરતાં હતાં. પરંતુ એકેય સીટ તેમના હાથમાં આવી નથી. આથી કેજરીવાલના પણ હવે બુરા હાલ થયા છે.
બિહારમાં લાલુ યાદવની સૌથી મોટી પાર્ટી રાષ્ટ્રીય જનતાદળને મોદીની આંધીની કંઈ ખબર જ પડી તે રીતે સાફ થઈ ગયું. આમ બિહારમાં મોદીની આંધીએ લાલુ યાદવનુ નામોનિશાન મિટાવી દીધું.