ટીમ ઇન્ડિયા આજે 1.30 વાગ્યાથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વન ડે મેચની શ્રેણીની શરૂઆત કરશે. ભારત માટે આ પડકારજનક બની રહેશે, કારણ કે ઓસ્ટ્રેલિયા સામે પોતાના ઘરઆંગણે વન ડેમાં ભારતનો રેકોર્ડ સારો રહ્યો નથી. આ ઉપરાંત ભારતે છેલ્લાં આઠ વર્ષથી વાનખેડેમાં એક પણ વન ડે મેચ જીતી નથી. એરોન ફિંચના નેતૃત્વવાળી ઓસ્ટ્રેલિયન ટીમે ગત વર્ષે ટીમ ઇન્ડિયાને ભારતની ધરતી પર જ માત આપી હતી.
ન્યૂઝીલેન્ડ પ્રવાસે જતાં પહેલાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે વન ડે શ્રેણી રમવાની છે. આ શ્રેણી માટે રોહિત શર્મા અને મોહંમદ શામી જેવા દિગ્ગજ ખેલાડીઓની ટીમમાં વાપસી થઈ છે, જેનાથી યજમાન ટીમનું મનોબળ ઘણું વધ્યું છે. વાનખેડેમાં ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ બહુ સારો નથી. ભારતે અહીં રમેલી 18 મેચમાંથી ૧૦માં જીત હાંસલ કરી છે અને આઠ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ મેદાન પર અત્યાર સુધી ત્રણ વન ડે મેચ રમાઈ છે અને તેમાં ભારતે બે વાર હારનો સામનો કર્યો છે.
તાજેતરમાં જ શ્રીલંકાને હરાવનાર ટીમ ઇન્ડિયાની અસલી પરીક્ષા આવતી કાલથી શરૂ થશે, કારણ કે ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશાને જેવા દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે.
છેલ્લે ભારત ૨૦૧૧માં જીત્યું હતુંઃ વાનખેડેમાં ટીમ ઇન્ડિયાએ છેલ્લે ૨૩ ઓક્ટોબર, 2011 રોજ જીત મેળવી હતી. એ મેચમાં ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને છ વિકેટે પરાજય આપ્યો હતો. ત્યાર બાદ અહીં બે વન ડે મેચ રમાઈ છે અને બંને મેચમાં ભારતીય ટીમ પરાજિત થઈ છે. દક્ષિણ આફ્રિકાએ ૨૫ ઓક્ટોબર, 2015ના રોજ ભારતને ૨૧૪ રનની કારમો પરાજય આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાના ચાર વિકેટે 438 રનના જવાબમાં ભારતીય ટીમ ૩૬ ઓવરમાં ૨૨૪ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ ન્યૂઝીલેન્ડે ૨૨ ઓક્ટોબર, ૨૦૧૭ના રોજ ભારતને છ વિકેટે હરાવી દીધું હતું. વિરાટ કોહલીની ટીમને આઠ વિકેટે 280 રને રોક્યા બાદ કેન વિલિયમ્સનનીટીમે ૪૯ ઓવરમાં ચાર વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.