લોકસભામાં નાગરિકતા સંશોધન બિલને મંજૂરી મળ્યા બાદ હવે કેન્દ્ર સરકાર આ બિલને આજે રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. સોમવારે લોકસભામાં 311 મત સાથે આ બિલને મંજૂરી મળ્યા બાદ હવે ભાજપે પોતાના પક્ષના રાજ્યસભા સાંસદો માટે વ્હીપ જારી કર્યો છે. રાજ્યસભાની કાર્યવાહીની યાદી મુજબ બપોરે 2 વાગે બિલ પર ચર્ચા શરૂ થશે. રાજ્યસભામાં આ બિલ પર ચર્ચા માટે 6 કલાકનો સમય એલૉટ કરવામાં આવ્યો છે.
આજે રાજ્યસભામાં રજૂ થશે નાગરિકતા સંશોધન બિલ
રાજ્યસભામાં નાગરિક સંશોધન બિલ પર થશે ચર્ચા
ભાજપે તમામ સાંસદોને હાજર રહેવા આપ્યો છે વ્હીપ
આ અગાઉ સરકાર દ્વારા સોમવારે લોકસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલને લઇને મોડી રાત સુધી મતદાનની પ્રક્રિયા પુરી કરવામાં આવ. જેમાં આ બિલના પક્ષમાં કુલ 311 મત પડ્યા જ્યારે વિપક્ષમાં માત્ર 80 મત પડ્યાં. જો કે ખાસ વાત એ જોવા મળી કે નીતિશકુમારના જનતા દળ યુનાઇટેડ અને રામવિલાસ પાસવાના પક્ષે બિલના પક્ષમાં મતદાન કર્યું. જ્યારે તે સિવાય શિવસેના, બીજેડી અને વાઇએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓએ પણ આ બિલના સમર્થનમાં મત આપ્યો હતો.
લોકસભામાં આ બિલને મંજૂરી મળ્યા બાદ કેન્દ્ર સરકાર રાજ્યસભામાં પણ પાસ કરાવાને લઇને સંપૂર્ણ આશ્વત નજર આવી રહી છે. પાર્ટીને બહુમત માટે જેટલી બેઠકની જરૂરિયાત છે, તેટલી એનડીએના સાથી દળો સિવાય શિવસેના, વાઇએસઆર કોંગ્રેસ અને બીજુ જનતા દળના સમર્થન સાથે આસાનીથી પૂરી થઇ શકે છે. રાજ્યસભામાં નાગરિકતા બિલને પાસ કરવા માટે ભાજપને કુલ 239 બેઠકમાંથી 120ના સમર્થનની જરૂરિયાત છે.
ભાજપ પાસે અત્યારે રાજ્યસભામાં કુલ 83 સાંસદ છે. આ સિવાય જેડીએસના 6, એઆઇએડીએમકેના 11 અને અકાલીદળના 3 સાંસદ તેમજ 12 નામિત સાંસદોનું સમર્થન ભાજપના પક્ષમાં છે. આ સિવાય નવીન પટનાયકનો પક્ષ બીજેડી અને વાઇએસઆર કોંગ્રેસ પણ આ બિલને રાજ્યસભામાં સમર્થન આપી શકે છે. આ એક અનુમાન મુજબ ભાજપ રાજ્યસભામાં પણ આ બિલ આસાનીથી પાસ કરાવી શકશે.