મુંબઇઃ મહારાષ્ટ્રમાં આજે સકલ મરાઠા સંઘ દ્વારા નવી મુંબઈ છોડીને સમગ્ર મહારાષ્ટ્રમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી શાંતિપૂર્વક બંધ પાળવામાં આવશે. સકલ મરાઠા સંઘના એક નેતાએ જણાવ્યું કે કેટલાંક સંવેદનશીલ પ્રશ્નોને લઈને નવી મુંબઈને બંધમાંથી બાકાત રાખવામાં આવી છે.
કારણ કે ગત મરાઠા આંદોલન વખતે નવી મુંબઈમાં મોટા પાયે હિંસા થઈ હતી. તો સંઘ દ્વારા યુવકનો આત્મહત્યા ન કરવા પણ અપીલ કરાઈ છે. એટલું જ નહીં આ આંદોલન શાંતિપૂર્વક કરવાની પણ અપીલ કરાઈ છે. સકલ મરાઠા સમાજનું કહેવું છે કે તેઓ ઉગ્ર રીતે નહીં પણ શાંતિપૂર્વક પ્રદર્શન કરશે અને કોઈ પણ સંપતિને નુકસાન નહીં પહોંચાડે.
જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં અંદાજિત 30 ટકા જનસંખ્યા મરાઠાઓની છે. મરાઠા ઓબીસી કોટા હેઠળ આરક્ષણની માંગ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસો પહેલા થયેલ પ્રદર્શને હિંસક રૂપ ધારણ કર્યું હતું. કેટલીક જગ્યાઓ પર આગજની ફાટી નીકળી હતી. પોલીસના વાહનોને આગ લગાવી દેવાઇ હતી. જેને જોતા આ વખતે સુરક્ષા બંદોબસ્તો ગોઠવી દેવામાં આવ્યો છે.