શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીની અંતિમ મેચ આવતી કાલે પુણેમાં રમાશે. આ મેદાન પર બંને ટીમ એકબીજા સામે બીજી વાર ટી-20માં ટકરાશે. આ પહેલાં બંને ટીમ અહીંના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના મેદાનમાં વર્ષ 2016માં ટકરાઈ હતી. ટીમ ઇન્ડિયા હાલમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે, જ્યારે શ્રીલંકાની યુવા ટીમે ઇન્દોર ખાતે રમાયેલી બીજી ટી-20 મેચમાં રીતસર શરણાગતિ સ્વીકારી લીધી હતી. હાલ ત્રણ મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા 1-0થી આગળ છે. ગૌહાટી ખાતેની પ્રથમ વન ડે વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.
ટી-20 શ્રેણીની અંતિમ મેચ આવતીકાલે પુણેમાં રમાશે
બંને ટીમ એકબીજા સામે બીજી વાર ટી-20માં ટકરાશે
ટીમ ઇન્ડિયા હાલમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે
શું થયું હતું એ મેચમાં?
ફેબ્રુઆરી-૨૦૧૬માં રમાયેલી મેચમાં ટોસ હાર્યા બાદ બેટિંગમાં ઊતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. રોહિત શર્મા મેચના બીજા જ બોલ પર આઉટ થઈ ગયો હતો. ત્યાર બાદ એ જ ઓવરમાં રહાણે પણ માત્ર એક ચોગ્ગો ફટકારીને પેવેલિયનમાં પાછો ફર્યો હતો. પાંચમી ઓવરમાં શિખર ધવન પણ નવ રન બનાવીને આઉટ થઈ ગયો. 32 રનના કુલ સ્કોર પર કસુના રજિથાએ ત્રણ વિકેટ ઝડપીને ટીમ ઇન્ડિયાને બેકફૂટ પર ધકેલી દીધી હતી.
વિકેટો પડતી જ રહીઃ
ટીમ ઇન્ડિયાનો વિકેટ પડવાનો સિલસિલો ચાલુ જ રહ્યો હતો અને 10 ઓવર સુધીમાં ટીમે 53 રનના સ્કોરમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ પણ ભારતની વિકેટો પડતી જ રહી હતી. ભારતના ત્રણ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નહોતા. સૌથી વધુ 31 રન અશ્વિને બનાવ્યા અને તે અણનમ રહ્યો હતો. ટીમ ઇન્ડિયા 19 ઓવરમાં 101 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
જીત તો આસાન હતી, પરંતુ...
આસાન લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી શ્રીલંકાની ટીમની શરૂઆત સારી નહોતી રહી, પરંતુ મધ્ય ક્રમના બેટ્સમેનોએ શ્રીલંકાની ઇનિંગ્સ સંભાળી અને 18 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું. એ મેચ ગુમાવ્યા બાદ ટીમ ઇન્ડિયાએ શ્રેણીમાં વાપસી કરી અને અંતિમ બંને ટી-20 મેચ જીતી લઈને શ્રેણી પોતાના નામે કરી હતી.
પુણેમાં ઈંગ્લેન્ડ સામે જીતી ચૂકી છે ટીમ ઇન્ડિયાઃ
એમ તો પુણેમાં ટીમ ઇન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટી-20 મેચ રમી ચૂકી છે. ડિસેમ્બર-2012માં રમાયેલી ટી-20 મેચમાં ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને માત આપી હતી. એ મેચમાં ભારતના કેપ્ટન એમ. એસ. ધોનીએ ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મળેલા 158 રનના લક્ષ્યને ટીમ ઇન્ડિયાએ 18મી ઓવરમાં જ હાંસલ કરી લીધું હતું.હવે જોવાનું એ રહે છે કે વિરાટ સેના આવતી કાલે પુણેમાં કેવું પ્રદર્શન કરે છે.