આપણા અમદાવાદને ગ્રીન સિટી બનાવવા મ્યુનિ. તંત્ર દ્વારા વર્ષ 2019થી શહેરમાં મિશન મિલિયન ટ્રી અભિયાન આરંભ્યું છે, જે હેઠળ દર ચોમાસામાં 10 લાખ કે તેથી વધુ રોપા વાવવામાં આવી રહ્યા છે. આ ચોમાસામાં મ્યુનિ. બાગ બગીચા વિભાગ દ્વારા 13 સપ્ટેમ્બર-2022ની સ્થિતિ અમદાવાદમાં કુલ 16,89,277 રોપા વવાયા છે.
‘મિશન મિલિયન ટ્રી’થી અમદાવાદ બનશે હરિયાળું
અમદાવાદમાં 16.89 લાખથી વધુ રોપા વવાયા
રિવરફ્રન્ટ પર સૌથી વધુ 3,76,100 રોપાથી લીલોતરી છવાઈ
અમદાવાદ શહેરનો વિકાસ ચારે દિશામાં થઈ રહ્યો છે. અમદાવાદ જાણે કે સિમેન્ટ-કોંક્રીટનાં જંગલમાં ફેરવાઈ ગયું હોય તેમ ઠેર ઠેર ગગનચુંબી ઇમારતો જોઈને લાગે છે. સિમેન્ટ-કોંક્રીટના આ જંગલમાં શહેર વૃક્ષ વિહોણું બનતું જતું હોઈ ઉનાળામાં શહેરીજનો ચામડીને બાળે તેવી 44થી 45 ડિગ્રી ભીષણ ગરમીમાં શેકાય છે. ત્વચાને દઝાડે તેવા આકરા તાપથી બચવા લોકોને વૃક્ષનો શીતળ છાંયડો પણ સહેલાઈથી મળતો નથી તે પણ નક્કર હકીકત છે.
આના કારણે સત્તાવાળાઓએ વર્ષ 2019થી શહેરમાં મિશન મિલિયન ટ્રી અભિયાન આરંભીને ગ્રીનરીમાં વૃદ્ધિ કરવાની દિશામાં ગંભીરતાથી પ્રયાસ હાથ ધર્યા છે. 2019ના ચોમાસામાં અમદાવાદમાં દસ લાખ નાના-મોટા રોપા વવાયા હતા. 2020ના ચોમાસામાં 10 લાખથી વધુ એટલે કે 11.58 લાખ રોપા વાવવામાં આવ્યા હતા, જ્યારે ગત વર્ષ 2021ના ચોમાસામાં સત્તાવાળાઓએ 13.40 લાખ રોપા વાવીને નવો વિક્રમ સર્જ્યો હતો.
2022ના આ ચોમાસામાં મ્યુનિ.સત્તાધીશોએ તા. 13 સપ્ટેમ્બરની સ્થિતિએ શહેરમાં 16.89 લાખથી વધુ રોપા વાવીને અત્યાર સુધીનો મિશન મિલિયન ટ્રીનો રેકોર્ડ બનાવ્યો છે. આમ તો મ્યુનિ. બાગ બગીચા વિભાગ દ્વારા આ ચોમાસામાં 15 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો, પરંતુ મ્યુનિ. રિક્રિએશનલ કમિટીના ચેરમેન રાજુ દવેએ તંત્રને 21 લાખ રોપા વાવવાનો નવો લક્ષ્યાંક આપ્યો છે. શહેરના ભાજપના શાસકોએ આપેલા નવા લક્ષ્યાંકને મ્યુનિ. બાગ બગીચા વિભાગે જાણે કે વધાવી લીધો હોય તેમ તા. 13 સપ્ટેમ્બર, 2022 સુધીમાં કુલ 16,89,277 રોપા વવાઈ ચૂક્યા છે.
અર્બન ફોરેસ્ટ બનાવાયાં
આ વિભાગ પાસેથી મળેલી વૃક્ષારોપણની વિગતને જોતાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સૌથી વધુ 3,76,100 રોપા વવાયા છે, જે શહેરમાં વવાયેલા રોપાની દૃષ્ટિએ સૌથી વધુ રોપા છે. તંત્ર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મિયાવાકી પદ્ધતિથી લીમડો, ગરમાળો, પીપળો અને અશોક જેવાં 35 જુદી જુદી જાતનાં વૃક્ષોનું વાવેતર તરીકે અર્બન ફોરેસ્ટ બનાવાયાં છે.
સાબરમતી રિવરફ્રન્ટ બાદ શહેરમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ 3,96,977 રોપા, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 3,03,925 રોપા, દક્ષિણ ઝોનમાં 2,44,157 રોપા, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 1,25,466 રોપા, પશ્ચિમ ઝોનમાં 1,23,920 રોપા અને ઉત્તર ઝોનમાં 84,716 રોપાની વાવણી કરાઈ છે.
મધ્ય ઝોનમાં રોપા વાવવા જગ્યા જ નથી
કોટ વિસ્તાર સહિતના મધ્ય ઝોનમાં ભરચક વસ્તી છે. આ ઝોનમાં તંત્ર પાસે વિકાસનાં કામો માટે પણ પ્લોટ બચ્યા નથી એટલે તંત્રે માત્ર 49,930 રોપા વાવવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે તા. 13 સપ્ટેમ્બરની સ્થિતિએ મધ્ય ઝોનમાં માંડ 20,716 રોપા વવાયા છે.
મેટ્રો રૂટ પર 13,300 રોપા વવાયા
આગામી નવરાત્રિ પૂરી થાય એ પહેલા શહેરમાં મેટ્રો ટ્રેન દોડતી થઈ જાય તેવી શક્યતા વચ્ચે સત્તાવાળાઓ મેટ્રો રૂટ પર હરિયાળ બિછાવવા માટે વૃક્ષારોપણ હાથ ધરાયું છે, જે અંતર્ગત મેટ્રો રૂટ પર 13,300 રોપા વવાયા હોવાનો તંત્રનો દાવો છે.
છેલ્લા 20 દિવસમાં લગભગ એક લાખ નવા રોપાનું વાવેતર
ગત તા. 23 ઓગસ્ટની સ્થિતિમાં શહેરમાં 15.90 લાખથી વધુ રોપાનું વાવેતર કરનાર મ્યુનિ. બાગ બગીચા વિભાગ દ્વારા છેલ્લા 20 દિવસમાં લગભગ એક લાખ નવા રોપાનું વાવેતર કરાયું છે.