ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને સહાયરૂપ થવા માટે કિલો દીઠ રૂ. ૨/-ની સહાય આપવાનો મહત્વનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવાયો
રાજ્યમાં ડુંગળી પકવતા ખેડૂતો માટે સરકારની જાહેરાત
"કિલોદીઠ 2 રૂપિયાનો વધારો આપવાનો નિર્ણય"
"અંદાજે 35 હજારથી વધુ ખેડૂત પરિવારને લાભ મળશે"
મુખ્ચમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી જેમાં ડુંગળી પકવતા લાખો ખેડૂતો માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. કિલોદીઠ 2 રૂપિયાનો વધારો આપવાનો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે જેથી અંદાજે 35 હજારથી વધુ ખેડૂત પરિવારને મોટો લાભ મળશે.
મંત્રી જીતુ વાઘાણીએ કરી જાહેરાત
આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું હતું કે ડુંગળીના ભાવ ઓછા હોવાના કારણે ખેડૂતોને વધુ મુશ્કેલી પડી રહી હતી જેથી આ ખેડૂતોને વધુ તકલીફ ન પડે તેણે લીધે વાવેતર માથે ન મળે તે માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે. 1/4/2020 થી 45 લાખ કટ્ટા એટલે થેલીઓ જે 50 કટ્ટાની હોય છે જે એપીએમસીમાં વેચાણ માટે આવતી હોય છે. કિલો દીઠ 2 રૂપિયા એટલે કે એક કટ્ટા દીઠ 100 રૂપિયા જેટલો વધારો આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. જેના લાભથી ખેડૂતોને ઘણી રાહત થશે.
યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો હતા પરેશાન
મહત્વનું છે કે ચાલુ વર્ષે ડુંગળીનું ઉત્પાદન વધતા બજારમાં તેની આવક સમયે ભાવ શરૂઆતથી જ ગત વર્ષ કરતાં નીચા રહ્યા છે તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે. રાજ્યમાં તા. ૧ એપ્રિલ-૨૦૨૨ થી તા. ૩૦ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં અંદાજે ૪૫ લાખ કટ્ટા (૫૦ કિલોના) વેચાણ માટે APMC ખાતે આવવાની સંભાવના છે ત્યારે ૨૨૫૦ લાખ કિલોના રૂપિયા બે લેખે ૪૫ કરોડ જેટલી સહાય ચૂકવાશે.ડુંગળી પક્વતા ખેડૂતોને પાકના વ્યાજબી ભાવ ન મળતા ઘણા સમયથી તેઓ ભાવ વધારાની માંગ કરી રહ્યા હતા અનેક રજૂઆતો બાદ રાજ્ય સરકારે આ પાક લેતા 35 હજાર ખેડૂતો માટે કિલો દીઠ 2 રૂપિયાનો ભાવ વધારાનો આદેશ સંબંધિત તમામ એપીએમસીને કરી દીધો છે.
વધારાનું રૂ. 135 કરોડનું રિવોલ્વીંગ ફંડ પાક ધિરાણ માટે ઉમેર્યું
તેમણે ઉમેર્યું કે રાજ્યના ખેડૂતોને વ્યાજ સહાયનો કોઈ બોજો ન પડે તે માટે મુખ્યમંત્રીશ્રીએ રૂ.૫૦૦ કરોડના રિવોલ્વીંગ ફંડ ઉપરાંત વધારાનું રૂ. ૧૩૫ કરોડનું રિવોલ્વીંગ ફંડ ઉમેરવાનો ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સમયસર ધિરાણ પરત ભરપાઈ કરતા ખેડૂતોને રૂ. ૩ લાખ સુધીનું પાક ધિરાણ વિના વ્યાજે આપવામાં આવે છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ક્રમશઃ ૪ ટકા અને ૩ ટકા વ્યાજ સહાય અપાય છે.
1-1-2016 થી કોલેજ અધ્યાપકના સ્થગિત પ્રમોશ પુનઃ સ્થાપિત કરાશે.
તો બીજી તરફ કેબિનેટ બેઠકમાં વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની મીટિંગમાં અધ્યાપકના અલગ અલગ મંડળોના પડતર પ્રશ્નો નિરાકરણ લાવવામાં આવ્યું છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. કે, 1-1-2016 થી કોલેજ અધ્યાપકના સ્થગિત પ્રમોશ પુનઃ સ્થાપિત કરાશે. આ સાથે 1-2-2019 ના ઠરાવની શરત 8 પણ દૂર કરવામાં આવી છે. આ નિર્ણયના કારણે લગભગ 3500 પ્રાધ્યાપકોને આર્થિક તથા વ્યવસાયિક તકલીફો દુર થશે તેમજ છેલ્લા 6 વર્ષથી અટકેલા પ્રમોશનો તાત્કાલિક મળશે.