ભાજપે શુભેન્દુને નંદીગ્રામથી મમતાની સામે મેદાનમાં ઉતાર્યાં છે
અમિત શાહની રેલીમાં શિશિર અધિકારીએ ભારત માતાની જય અને જયશ્રી રામની નારેબાજી કરીને ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. આપને જણાવી દઈએ કે શિશિર અધિકારીના બન્ને પુત્રો શુભેન્દુ અધિકારી અને સૌમેંદુ અધિકારી પણ ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે.
ટીએમસીએ અમારી સાથે ખરાબ વ્યવહાર કર્યો
આ પ્રસંગે બોલતા શિશિર અધિકારીએ જણાવ્યું કે અમે ટીએમસી માટે લોહી પરસેવો એક કર્યો પરંતુ ટીએમસીએ મારી અને મારા પુત્રો સાથે જે રીતનો વ્યવહાર કર્યો તેનાથી અમને પાર્ટી બદલવાની ફરજ પડી છે.
બંગાળમાં રાજકીય હુમલાઓ અને અત્યાચારની સામે લડીશું
શિશિર અધિકારીએ જણાવ્યું કે ટીએમસીમાંથી અમારા પરિવારને જે રીતે બહાર કાઢવામાં આવ્યો તે હમેંશા ઈતિહાસમાં નોંધાયેલું રહેશે. અમે બંગાળમાં રાજકીય હુમલાઓ અને અત્યાચારની સામે ઊભા રહીશું. અમે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સાથે કામ કરીશું.
શિશિરે કહ્યું કે અમે મિદનાપુરના સન્માનને બચાવવા માટે મમતા બેનરજીની પાર્ટીને આકરી ટક્કર આપીશું. મને પાર્ટી છોડવાની ફરજ પડાઈ છે કારણ કે શાસક પક્ષના નેતાઓએ અમારે માટે કોઈ આશરો છોડ્યો નહોતો.
અધિકારી પરિવાર પૂર્વ મિદનાપુર જિલ્લામાં મોટો રાજકીય પ્રભાવ ધરાવે છે. શિશિર અધિકારીએ દાવો કર્યો કે શુભેન્દુ અધિકારી નંદીગ્રામ બેઠક પરથી મોટી સરસાઈથી ચૂંટણી જીતશે. ભાજપના સૂત્રોએ એવું પણ જણાવ્યું કે શિશિરના પુત્ર દિવ્યેદુ પણ ભાજપમાં સામેલ થઈ શકે છે. દિબ્યેંદુ અધિકારી તામલુકથી ટીએમસી સાંસદ છે.