પશ્ચિમ બંગાળમાં પ્રચંડ બહુમતી મેળવ્યાં બાદ સત્તામાં આવેલી મમતા બેનર્જી માટે મુખ્યમંત્રી પદ યથાવત રહેવુ સંકટ સમાન છે. જો તેઓ 71 દિવસમાં ધારાસભ્ય નહીં બને તો તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવુ પડશે.
બસ હવે 71 દિવસ જ બાકી, ખુરશી બચાવવા મમતા બેનર્જીની દોડાદોડ
જો ધારાસભ્ય નહીં બને તો મુખ્યમંત્રી પદેથી આપવુ પડશે રાજીનામું
TMCના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચમાં પેટા ચૂંટણી કરવાની કરી માંગ
આ જ કારણ છે કે તૃણમુલ કોંગ્રેસે ગુરૂવારે ફરી એક વખત ચૂંટણી પંચને જઈને અપીલ કરી કે રાજ્યમાં ટૂંક સમયમાં પેટાચૂંટણી યોજવામાં આવે. મમતા બેનર્જીને મુખ્યમંત્રી પદે સક્રિય રહેવા માટે 5 નવેમ્બર સુધી વિધાનસભાના સભ્ય બનવુ પડશે.
ટીએમસીના પ્રતિનિધિમંડળની ચૂંટણી પંચમાં ધા
ટીએમસી નેતા સૌગત રૉયના નેતૃત્વમાં ટીએમસીના પ્રતિનિધિમંડળે ચૂંટણી પંચની કચેરીએ જઈને રાજ્યમાં તાત્કાલિક પેટા ચૂંટણી કરાવવાની માંગ કરી છે. ટીએમસીએ આ અગાઉ બે વખત અરજી આપી છે. તો મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ રાજ્યમાં મોડું કર્યા વગર પેટા ચૂંટણી કરાવવાની માંગ ઘણી વખત કરી છે. સૌગત રૉયે કહ્યું, અમે ચૂંટણી પંચને અરજી આપી છે કે પશ્ચિમ બંગાળમાં સાત બેઠકો પર તાત્કાલિકઢબે પેટા ચૂંટણી કરાવવામાં આવે.
મુખ્યમંત્રી પદે રહેવાનો શું હોય છે નિયમ?
મમતા બેનર્જીની પાર્ટીએ બંગાળમાં સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી છે. પરંતુ મમતા પોતે ભાજપ નેતા અને પોતાના પૂર્વ સહયોગી શુભેન્દુ અધિકારી સામે હારી ગઈ હતી. નિયમ મુજબ, કોઈ એવા વ્યક્તિને મુખ્યમંત્રી અથવા મંત્રી બનાવવામાં આવી શકે છે, જે વિધાનસભા અથવા વિધાન પરિષદના સભ્ય હોય, પરંતુ છ મહિનાની અંદર ચૂંટાયેલુ હોવુ જરૂરી છે.
કોર્ટમાં પેન્ડિંગ છે નંદીગ્રામનો મામલો
નંદીગ્રામ બેઠક પરથી શુભેન્દુ અધિકારી સામે આશરે 2 હજાર મતોથી હાર્યા બાદ મમતા બેનર્જીએ આ બેઠક પરના ચૂંટણી પરિણામને કોર્ટમાં પડકાર ફેંક્યો છે. કોર્ટમાં આગામી સુનાવણી 15 નવેમ્બરે થશે. જેનો અર્થ છે કે નંદીગ્રામ બેઠક પરના કોર્ટના નિર્ણય આવતા પહેલાં મમતા બેનર્જીએ કોઈ અન્ય બેઠક પરથી ચૂંટણી જીતવી પડશે. નહીંતર તેમણે મુખ્યમંત્રીના પદનો ત્યાગ કરવો પડશે.