ટીએમસી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીએ દેશની સંઘીય માળખાનું સન્માન કર્યું નથી. ચક્રવાત ફેણીને લઈને હવે પશ્ચિમ બંગાળમાં રાજકારણ શરૂ થયુ હોય એવું લાગે છે. કારણ કે પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીને ફોન કરવાના બદલે રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી સાથે વાત કરતા ટીએમસીમાં રોષ જોવા મળી રહ્યો છે.
ટીએમસીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહયું કે, મોદીએ દેશના સંઘીય મળખાનું સન્માન નથી કર્યુ. તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ પાર્થ ચેટર્જીએ કહ્યું કે, પીએમ મોદીએ સંઘીય માળખાનું સન્માન કર્યુ નથી જે બંધારણથી વિપરિત છે.
રાજ્યપાલને ફોન કરીને તેઓએ ભાજપના નેતા તરીકે કામ કર્યુ છે અને દેશના પ્રધાનમંત્રી તરીકે નહીં. તેઓ અમારા જનાદેશને કેવી રીતે નકારી શકે છે. મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના સીએમ છે. જે એક દૂર્ભાગ્યપૂર્ણ વાત છે. જ્યારે અન્ય એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ જમીની સ્થિતિની જાણકારી માટે રાજ્યપાલને ફોન કર્યો, એનાથી અમને કોઈ વાંધો નથી.
પરંતુ મુખ્યમંત્રી અને પ્રદેશ સરકારના અધિકારીઓ પાસે જ જમીની સ્તરની અસલી વાસ્તવિકતા હોય છે. જે દર્શાવે છે કે પ્રધાનમંત્રીની નજરમાં આ દેશના સંઘીય મળખાનું કોઈ સન્માન નથી. પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીને બદલે રાજ્યપાલને ફોન કર્યો છે.
આ અગાઉ મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે ફેણી વાવાઝોડાના કારણે કેટલાંક ઘરોમાં નુકસાન સિવાય વધુ નુકસાન થયું નથી. ચક્રવાત ફેણી પડોશી બાંગ્લાદેશમાં પ્રવેશ કરતાં અગાઉ કમજોર થઇ ગયું હતું.