કહેવાય છે ને કે, જ્યારે કોઈ મુશ્કેલી માથે આવે ત્યારે લોકો તેમાંથી બચવાનો તોડ પણ શોધી કાઢતા હોય છે. આવું જ કાંઈક હાલ રાજ્યમાં બની રહ્યું છે. કોરોનાના ભયના કારણે પ્રવાસન સ્થળો પર દુષ્કાળની સ્થિતિનો માહોલ છે. પરંતુ મહેસાણાવાસીઓએ તો તેનો પણ તોડ શોધી કાઢ્યો છે. અને એવી જગ્યા શોધી કાઢી છે જ્યાં કોરોનાથી બચી શકાય. કારણ કે, ત્યાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી છે. આ સ્થળ એટલે ઋષિવન.
વેકેશનની મજા પ્રકૃતિ વચ્ચે
કોરોનાનો ડર અહીં નથી લાગતો
પ્રવાસીઓને આકર્ષતું તિરૂપતિ ઋષિવન
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોના વાઇરસને પગલે તંત્ર દ્વારા એડવાઇઝરી જાહેર કરાઇ છે. તેવા સમયે ગુજરાતના લોકોમાં રજાઓ અને વીક એન્ડમાં ક્યાં ફરવા જવુ તે એક પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે લોકો હવે ભીડભાડ વાળી જગ્યાને બદલે પ્રકૃત્તિના સાનિધ્યમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. હાલમાં મહેસાણાના વિજાપુર ખાતે આઠ લાખ વૃક્ષ ધરાવતા તિરૂપતિ રૂષિવનમાં લોકો ઉભરાઇ રહ્યા છે. લોકોનું કહેવુ છે કે,ફરવા પણ જવુ છે,અને કોરોનાથી પણ ડર લાગે છે,ત્યારે જ્યાં વધુ વૃક્ષ હોય અને ખુલ્લી જગ્યા હોય તે સ્થળ વધુ સુરક્ષિત છે.
દેશમાં કોરોનાના ભયનો માહોલ
ચાઇનાના વુહાન પ્રાંતથી શરૂ થયેલો કોરાનાનો કહેર હાલમાં વિશ્વના અનેક દેશને ભરડામાં લઇ ચૂક્યો છે. ભારતમાં પણ આ વાઇરસના ૪૦ કેસ નોધાઇ ચૂક્યા છે. ત્યારે ગુજરાતના વહીવટીતંત્ર દ્વારા કોરોના વાઇરસને પગલે લોકો માટે એડવાઇઝરી જાહેર કરાઇ છે અને લોકોને સલાહ આપવામાં આવી છે કે,ભીડ ભાડ વાળી જગ્યાથી દૂર રહેવુ. પણ હાલમાં રજાનો માહોલ ચાલી રહ્યો છે.
વીક એન્ડ મનાવવા લોકો ઋષિવનમાં પહોંચ્યા
તો વળી વીક એન્ડમાં પણ લોકો પરિવાર સાથે પીકનીક જવાનું પસંદ કરતા હોય છે..તેવા સમયે હાલમાં વાઇરસના ડર વચ્ચે ક્યા સ્થળની પીકનીક માટે પસંદગી કરવી તે એક સવાલ ઉભો થયો છે. આ સવાલ વચ્ચે હાલમાં લોકો એવા સ્થળ ઉપર પસંદગી ઉતારી રહ્યા છે,જ્યાં પ્રકૃત્તિનું સાનિધ્ય હોય અને ઓછી ભીડભાડ હોય...ત્યારે વિજાપુર નજીક એક જ સ્થળે ૮ લાખ વૃક્ષ ધરાવતા તિરૂપતિ રૂષિ વન ઉપર પસંદગી ઉતારી રહ્યા છે. હાલમાં મોટી સંખ્યામાં લોકો ઓક્સિજન પાર્ક તરીકે ઓળખાતા રૂષિવનમાં ઉમટી રહ્યા છે.
૮ લાખ વૃક્ષ હોવાથી લોકો એક જ સ્થળે પ્રકૃત્તિનો પણ આનંદ માણી શકે છે
કોરોના વાઇરસને પગલે રાજ્યના વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલી એડવાઇઝરી મુજબ લોકોને જ્યાં સંક્રમિત થવાનું વધુ જોખમ હોય તેવા સ્થળે નહી જવાની સલાહ આપવામાં આવી છે.તેવા સમયે લોકો માટે મહેસાણાનો ઓક્સિજનપાર્ક બેસ્ટ પીકનીક ઓપ્શન બની રહ્યો છે..તો વળી ૧૦૦ એકરમાં ફેલાયેલા આ પાર્કમાં ૮ લાખ વૃક્ષ હોવાથી લોકો એક જ સ્થળે પ્રકૃત્તિનો પણ આનંદ માણી શકે છે..તો બીજી તરફ આ પાર્કમાં સેવન વન્ડર ની પ્રતિકૃતિ બનાવાઇ છે..જેમાં આગ્રાના તાજમહેલની જેમ જ તાજમહેલ પણ તૈયાર કરવામાં આવ્યો છે..હાલમાં આગ્રા ખાતે તાજમહેલમાં નિર્દશન બંધ કરવામાં આવ્યુ છે..ત્યારે લોકો અહી તાજમહેલના નિર્દશનનો પણ લ્હાવો લઇ શકે છે.
પ્રકૃતિના સાનિધ્યમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે
જ્યાં સુધી કોરોના વાઇરસનો ખતરો સંપૂર્ણ નહી ટળી જાય ત્યાં સુધી લોકો માટે પીકનીક અને ફરવા જવાના સ્પોટની પસંદગી એક સવાલ બની રહેવાની છે..તેવા સમયે લોકો પણ હવે પોતાની જાતે જ ભીડભાડ વાળા સ્થળને બદલે પ્રકૃતિના સાનિધ્યમાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે..