તિરૂપતિનું વેન્કટેશ્વર મંદિર તેને મળતા રોકડ અને સોનાના દાન માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. દેશનો GDP ૫% ના તળિયે બેઠો છે એવા સમયે તિરુપતિ મંદિરના ટ્રસ્ટએ છેલ્લા ૫ મહિનામાં વિક્રમ જનક દાનભંડોળ એકઠું કર્યું છે. આ વધારો મંદિર પ્રત્યેની લોકોની આસ્થામાં થઇ રહેલો વધારો સૂચવે છે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટના એક્ઝિક્યુટીવ ઓફીસર IAS અધિકારી અશોક સિંઘલએ આશ્ચર્ય જનક આંકડા જાહેર કરતા જણાવ્યું હતું કે ૨૦૧૯ના છેલ્લા ૫ મહિનામાં ૧૪૦ કરોડની રોકડ રકમ અને ૫૪૦ કિલો સોનું તથા ૩૦૯૮ કિલો ચાંદી દાન સ્વરૂપે પ્રાપ્ત થયા હતા. ૨૦૧૮માં એપ્રિલ થી ઓગસ્ટ મહિનામાં આ આંકડા ૧૧૩.૯૬ કરોડ રોકડ, ૩૪૪ કિલો સોનું અને ૧૧૨૮ કિલો ચાંદી જેટલો હતો. દેશના ઘટતા GDP અને આર્થિક મંદીને ધ્યાનમાં લેતા આ ઉછાળો આશ્ચર્યજનક કહી શકાય.ઉલ્લેખનીય છે કે દાનની બાબતે શ્રી તિરુપતિ દેવસ્થામ્ ભારતમાં પ્રથમ સ્થાને છે.
*આંકડા કરોડમાં છે.
ભૂરો સ્તંભ સોનું અને લાલ સ્તંભ ચાંદીનું દાન કિલોગ્રામમાં બતાવે છે.
મંદિરનાં ટ્રસ્ટ અને સ્થાનિકોમાં આ અહેવાલ પગલે ખુશીનો માહોલ છવાયો છે. સિંઘલના જણાવ્યા મુજબ મંદિરમાં લોકોની આસ્થા વધી રહી છે.
તિરુપતિ શહેરને ક્રાઈમ ફ્રી બનાવવાનો ધ્યેય: સિંઘલે જણાવ્યું છે કે ટ્રસ્ટમાં આવતી આ રકમનો ઉપયોગ દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા, અન્નદાન અને મંદિરના વિકાસ જેવા કામો માટે કરવા ઉપરાંત તિરુપતિ શહેરને ગુનાખોરીમાંથી મુક્તિ અપાવવા માટે કરવામાં આવે તેવી ટ્રસ્ટની પ્રાથમિકતા છે.
૧૭,૦૦૦ કિલો વાળ વેચાયા: મંદિરે ૫ સપ્ટેમ્બરે ઓનલાઈન ઓક્શનમાં ૧૭૨૦૦ કિલો વાળની નીલામી કરી હતી. જેની કિંમત આશરે ૭.૬૨ કરોડ રૂપિયા જેટલી છે.
બ્રહ્મોત્સવ: ૩૦ સપ્ટેમ્બરે યોજાનાર વાર્ષિક બ્રહ્મોત્સવની પૂર્વ તૈયારી સ્વરૂપે મંદિરની ઘણી બધી વ્યવસ્થામાં બદલાવ કરવામાં આવશે. મંડપ અને મંચ માટે ૭.૫ કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧૩૦૦૦થી વધુ ગાડીઓના પાર્કિંગની વ્યવસ્થા અને ૧૩૦૦ થી વધુ CCTV કેમેરા લગાડવામાં આવશે. આ માટે ૪૨૦૦ પોલીસ જવાનો અને ૩૦૦ સીનીયર પોલીસ અધિકારીઓ તહેનાત રહેશે. ભક્તોના જમવાની પણ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.