યસ બેંકના ગ્રાહકો પર મોટી આફત આવીને ઉભી છે ત્યારે આંધ્રપ્રદેશના તિરૂમલામાં રહેલા તિરૂપતિ વેંકટેશ્વર મંદિર ટ્રસ્ટે લીધેલો એક નિર્ણય તેમના માટે વરદાનરૂપ સાબિત થયો છે. નોંધનીય છે કે, મંદિર ટ્રસ્ટે ગત મહિને 1300 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.
યસ બેંક પર તૂટી આફત
તિરૂપતિ દેવસ્થાનમન ટ્રસ્ટના 1300 કરોડો રૂપિયા બચી ગયા
નવા અધ્યક્ષે એક મહિના પહેલા યસ બેંકમાંથી પૈસા ઉપાડવાના આપ્યા હતા આદેશ
વાયવી સુબ્બા રેડ્ડીએ તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમનના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ અધિકારીઓને યસબેંકમાં જમા રહેલા રૂપિયા ઉપાડી લેવાના આદેશ આપ્યા હતા. આ ટ્રસ્ટનું ફંડ 4 પ્રાઇવેટ બેંકમાં જમા છે. જેમાની યસબેંક પણ એક છે.
મુખ્યમંત્રીને આપવામાં આવી જાણકારી
સુબ્બા રેડ્ડીએ આ ખાનગી બેન્કોની નાણાકીય સ્થિતિની તપાસ કર્યા બાદ યસ બેંકમાંથી રૂપિયા 1300 કરોડ ઉપાડવાનો નિર્ણય લીધો હતો. જો કે, તેમણે આ નિર્ણય માટે ટ્રસ્ટના અન્ય સભ્યોના દબાણનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમણે મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીને આ બાબતે માહિતી આપી. મુખ્યમંત્રી સાથે વાત કર્યા પછી જ તેમણે આ રકમ યસ બેંકમાંથી પરત ખેંચવાનો આદેશ આપ્યો હતો.
દુનિયાના બીજું સૌથી અમીર ટ્રસ્ટ છે TTD
તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ. જે ટૂંકમાં TTD તરીકે જાણીતું છે. એક સ્વતંત્ર ટ્રસ્ટ છે જે આંધ્રપ્રદેશના તિરૂમલામાં તિરૂપતિ વેંકટેશ્વર મંદિરનું સંચાલન કરે છે. ટ્રસ્ટ દુનિયાના સૌથી અમીર અને સૌથી વધુ જાણીતા ધાર્મિક કેન્દ્રના સંચાલન અને નાણાની દેખભાળ કરે છે. આ અલગ-અલગ સામાજીક, ધાર્મિક, સાહિત્યક અને શૈક્ષણિક ગતિવિધીઓ માટે પણ જાણીતું છે. TTDનું મુખ્યાલય તિરૂપતિમાં આવેલું છે અને જેમાં લગભગ 16000 લોકો કાર્યરત છે.
50 હજાર રૂપિયા સુધીની ઉપાડ મર્યાદા
ગુરુવારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ)એ યસ બેંક પર મોટી કાર્યવાહી કરી છે. આ અંતર્ગત બેંકના ગ્રાહકો માટે 50 હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે ગ્રાહકો એક મહિનામાં તેમના સેવિંગ, કરંટ અને અન્ય ખાતામાંથી ફક્ત 50 હજાર રૂપિયા જ ઉપાડી શકશે.
શું છે મામલો?
હકીકતમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય સંકટ સાથે ઝઝૂમી રહેલી યસ બેંક પર પ્રતિબંધ મૂકીને તેના ડિરેક્ટર કમિટીને તોડી નાખી છે. આ સિવાય બેંક દ્વારા 50,000 રૂપિયા ઉપાડવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. બેંક માટે એડમિનિસ્ટ્રેટરની પણ નિમણૂક કરવામાં આવી છે.
રિઝર્વ બેંકે જણાવ્યું કે, કેન્દ્રીય બેંક આ નિર્ણય પર આવી છે કે, વિશ્વસનીય પુનરુત્થાન યોજનાનો અભાવ, જાહેર હિત અને બેંકના થાપણદારોના હિતની ગેરહાજરીમાં તેમની સામે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 45 હેઠળ તેની પર પાબંદી લગાવ્યા સિવાય અન્ય કોઈ જ વિકલ્પ નથી.