ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનનો થયો શુભારંભ, ઠેર ઠેર તિરંગા યાત્રા નીકળી તો ક્યાંક પાણીમાં ઉતરીને લહેરાવવામાં આવ્યો તિરંગો
હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ
રાજકોટ, અમદાવાદ, સુરતમાં દેશભક્તિનો માહોલ
ક્યાંક પાણીમાં તો ક્યાંક બિલ્ડિંગ પર લહેરાવ્યો તિરંગો
દેશમાં આજથી 15 ઑગષ્ટ સુધી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ગુજરાતમાં આ અવસરને લઇને હરખનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત જાણે દેશભક્તિના ભાવે રંગાયુ હોય તેમ ઠેર ઠેર તિરંગાયાત્રાઓ યોજાઇ રહી છે. જેમાં નાના બાળકોથી માંડીને સૌ કોઇ હોંશે હોંશ જોડાયા છે.
અમદાવાદમાં હરઘર તિરંગા અભિયાન
અમદાવાદમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. શાહીબાગની રાજસ્થાન હિંદી હાઇસ્કૂલ દ્વારા ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સરકારના મંત્રી પ્રદિપ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રાંગણમાં જ પરેડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
પાણીમાં જઇને લહેરાવ્યો તિરંગો
તો રાજકોટમાં આજીડેમમાં દેશભક્તિની ભાવનાના દ્રશ્યો જોવા મળ્યા. એસડીઆરએફની ટીમ દ્વારા પાણીમાં તિરંગો લહેરાવ્યો. જવાનોએ 20 ફૂટ કરતા ઊંડા પાણીમાં ઉતરી દેશભક્તિના રંગ બતાવ્યા. SDRF જવાનોએ બોટમાં તિરંગો લહેરાવી અવનવા કરતબો પણ બતાવ્યા. હર ઘર તિરંગાને લઇને સંદેશો આપતા જોવા મળ્યા.એસડીઆરએફના કરતબો જોવા પુલ પર સ્થાનિકો ઉમટી પડ્યા હતા.
સુરતમાં દેશભક્તિનો માહોલ
સુરતના કતારગામ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી વિનુ મોરડીયાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઇ હતી. હજારો લોકો તિરંગા યાત્રામાં જોડાયા હતા. કતારગામથી પાટીદાર સમાજની વાડી સુધી યોજાઈ ત્રિરંગા યાત્રા યોજાઇ હતી. ડીજેના તાલે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
23 માળની ઇમારત પર તિરંગો લહેરાયો
તો આ તરફ રાજકોટમાં સૌથી ઊંચી 23 માળની ઇમારત પર તિરંગો લહેરાવાયો. ગમે તેટલા દૂરથી પણ નજર પડી જાય તે પ્રકારે આ બિલ્ડીંગ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. 250 ફૂટ ઊંચો અને 25 ફૂટ પહોળો તિરંગો લહેરાવવામાં આવ્યો. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગો લહેરાવવામાં આવી રહ્યો છે.
પાવાગઢમાં આરતી બાદ ગાવામાં આવ્યું રાષ્ટ્રગીત
તો આ તરફ પાવાગઢ મંદિરમાં પહેલીવાર રાષ્ટ્રગીત ગાવામાં આવ્યુ. માતાજીના દર્શન કરવા આવેલા ભક્તોએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રગીત ગાયું છે. માતાજીની આરતી પૂર્ણ થયા બાદ ભક્તોએ રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રગીત ગાયું હતું. જેથી પાવાગઢ નિજ મંદિરમાં દેશભક્તિનો રંગ છવાયો હતો.
વડોદરામાં રાષ્ટ્રધ્વજ બનાવવાની કામગીરી પુરજોશમાં
પ્રધાનમંત્રી મોદીએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશમાં 13થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનનું આહ્વાન કર્યું છે. જેને કારણે રાષ્ટ્રધ્વજની માગમાં વધારો થયો છે. આ માગને પૂર્ણ કરવા ખાદીગ્રામોદ્યોગ ઓવરટાઈમમાં કામગીરી કરી રહ્યાં છે. આ અંતર્ગત વડોદરા જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સહકારી સંઘ ખાદીના ધ્વજની માગ પૂર્ણ કરવા માટે ઓવરટાઈમમાં કામગીરી કરી રહ્યું છે.