કોરોના વાયરસને પગલે જાણે સમગ્ર વિશ્વ થંભી ગયું હોય એમ લાગે છે. અન્ય દેશોની સરખામણીમાં આપણે ત્યાં હજુ સ્થિતિ નિયંત્રણમાં છે એમ કહી શકાય. કદાચ તેની પાછળ આપણી સરકાર સમય રહેતાં સાબદી થઈ છે તે અને લોકોમાં પણ હવે આરોગ્યને લઈને આવી રહેલી જાગૃતિ જવાબદાર છે એમ માની શકાય.
કોરોના વાયરસને પગલે સમગ્ર વિશ્વ થંભી ગયું છે
ત્યારે કંપનીઓ કર્મચારીઓને આપી રહી છે સુવિધા
ઘરે રહીને કામ કરો અને સ્વસ્થ રહો
ખેર, ભારતને બાદ કરતાં અન્ય દેશોની વાત કરીએ તો સ્થિતિ એ હદે વણસી છે કે માત્ર સિનેમાઘરો, ફનવર્લ્ડ, જિમ જ નહીં, ઘણી ઑફિસો પણ બંધ રાખવાની ફરજ પડી છે. વર્ક ફ્રોમ હોમની તર્જ પર કામ લેવામાં આવી રહ્યું છે. કોરોના વાઇરસ ચેપ કોઈ કર્મચારીને લાગે અને ત્યાર બાદ આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસીએ એવી સ્થિતિ ન સર્જાય તે હેતુથી અમેરિકા, યુરોપ, જાપાન,ન્યૂઝીલેન્ડ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ સકારાત્મક હેતુથી આ પગલું ભર્યું છે અને હવે આ યાદીમાં ભારતનો પણ સમાવેશ થાય છે. કહેવાઈ રહ્યું છે કે આપણી સરકારે સમયસૂચકતા વાપરીને જરૃરી પગલાં લીધાં છે અને આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આપણા દેશની પ્રશંસા પણ થઈ રહી છે.
અર્થતંત્ર ડામાડોળ બની રહ્યું છે એ વાત તો સાચી પણ કોરોનાને પગલે વર્ક ફ્રોમ હોમથી જે બીજા ફાયદા મળી રહ્યા છે તેને પણ આ દેશોએ વધાવ્યા છે. લોકો ઑફિસે જવાનું ટાળીને ઘરે બેસીને કામ કરે છે તેથી ઑફિસ એક્સપેન્સમાં ઘટાડો નોંધાયો છે. વાહનો રસ્તા પર ઓછાં દોડી રહ્યાં છે તેથી પ્રદૂષણનું સ્તર નીચું આવ્યું છે. લોકો કામની સાથે પરિવાર સાથે પણ સમય વીતાવી રહ્યા છે, જેની સકારાત્મક અસર કામના પરફોર્મન્સમાં દેખાઈ રહી છે. ટૂંકમાં, વર્ક ફ્રોમ હોમની નીતિનો અખતરો ઘણા બધા સેક્ટરને સકારાત્મક અનુભવ કરાવી રહ્યો છે.
થોડા દિવસો પહેલાં જ મંદીના પગલે કોસ્ટ કટિંગની વાતો ચાલી રહી હતી અને ઘણાં સેક્ટરોએ તો તે અનુસરવાની ફરજ પડી એ સમયે ઑફિસનો એક્સપેન્સ કેવી રીતે ઘટાડી શકાય તે અંગે પણ જરૃરી વિચાર-વિમર્શ હાથ ધરાયા હતા. ઘણી કંપનીઓએ અઠવાડિયામાં બે દિવસ રજા આપવાનો નિર્ણય કર્યો તો ઘણી કંપનીઓએ વૈકલ્પિક દિવસોએ કામ કરવાની રીત અપનાવી, ઘણી કંપનીઓએ શક્ય હોય તો કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી.
હવે મંદી તો ઠીક, પણ કોરોના વાયરસને પગલે કંપનીઓ વર્ક ફ્રોમ હોમની નીતિ અપનાવી રહી છે, જે પ્રશંસનીય છે. કર્મચારીઓ કંપનીઓ માટે મૂડી માનવામાં આવે છે, એવા સમયે તેમની ચિંતા કરીને તેમજ જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવવાની આ વેળાએ વર્ક ફ્રોમ હોમની સુવિધા સારી છે. આવા સમયે સાચી બહાદુરી રખડપટ્ટી કરવામાં કે ઑફિસમાં જ જઈને કામ કરવામાં નથી. તમે કંપની તેમ જ રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારીનું બખૂબી પાલન કરી જ શકો છો. તેથી શક્ય હોય ત્યાં સુધી ઘરે રહો, સ્વસ્થ રહો અને કાર્યશીલ રહો.