ભારતમાં કોરોના રોગચાળાના કારણે હાલમાં પેદા થયેલી હાલત પર મોદી સરકારને મદદ કરવા માટે ભારતીય સેના હવે મેદાનમાં આવી છે.
કોરોનાને નાથવા જનરલ રાવતનું આહ્વાન
સેના ઉઠીને નાગરિક તંત્રની મદદ કરે
વાયુસેના અને અન્ય દળો પણ કરી રહ્યા છે મદદ
ભારતીય લશ્કરની ત્રણેય પાંખના વડા એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે મંગળવારે સશસ્ત્ર દળોને આહ્વાન કરીને કહ્યું છે કે તેઓ ઉઠીને આગળ આવે, અને આ રોગચાળાનો સામનો કરવામાં જોડાય તેમ જ સમયબદ્ધ રીતે બીમારીના નિયંત્રણ માટે સંબંધિત સુવિધાઓ ઉત્પન્ન કરવામાં નાગરિક વહીવટીતંત્રની મદદ કરે.
સમય પર મદદ મળવી ખૂબ જ જરૂરી છે
જનરલ બિપિન રાવતે પોતાના સંદેશમાં કહ્યું હતું કે આવી પરિસ્થિતિમાં સમય પર મદદ ખૂબ જ જરૂરી છે, તેમણે વધુમાં કહ્યું કે, સશસ્ત્ર દળો માટે આ ઊભા થઈને સમયબદ્ધ રીતે કોરોનાના નિયંત્રણ સંબંધી સુવિધાઓ ઊભી કરવા માટે સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદ કરવાનો સમય છે.
સીડીએસ રાવતે વધુમાં કહ્યું હતું કે યુનિફોર્મ પહેરેલા અમારા સ્ત્રી પુરુષોમાં દરેક સમયે દરેક જગ્યાએ અવરોધોને તોડવા અને આગળ વધવા માટેની ઈચ્છાશક્તિ અને સમર્પણભાવ છે.' મહત્વનું છે કે જનરલ રાવતનો આ સંદેશ એવા સમયે સામે આવ્યો છે જ્યારે મહામારી મુદ્દે હજુ એક દિવસ પૂર્વે જ તેમણે પીએમ મોદી સાથે બેઠક કરી હતી અને આ રોગચાળાને નાથવા માટે સશસ્ત્ર દળો દ્વારા ઉઠાવાઈ રહેલા પગલાઓની જાણકારી આપી હતી.
હજુ ઘણી લાંબી મજલ કાપવાની છે
તેમણે કહ્યું હતું કે અમે કરી શકીએ છીએ અને કરીશું, આગળ વધીએ હજુ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. સેનાની ત્રણેય બ્રાન્ચ અને રક્ષા મંત્રાલયની વિભિન્ન શાખાઓ આ મહામારીને કંટ્રોલ કરવા માટે ઘણા કામ કરી રહી છે. નોંધનીય છે કે વાયુસેના પહેલાથી જ ઓક્સિજનના ખાલી ટેંકર્સને ફિલિંગ સ્ટેશનો સુધી પહોંચાડી રહી છે,અને મેડિકલ ઉપકરણો અને દવાઓ પહોંચાડી રહી છે.