મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને સરકાર દ્વારા પણ ખેડૂતોને મનાવવામાં આવી રહ્યા છે તેમ છતાં હજી સુધી કોઇ ચોક્કસ ઉકેલ નીકળ્યો નથી. આ તમામ બાબતો વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે વધુ એક એલાન કરીને સરકારની ચિંતામાં વધારો કર્યો છે.
રાકેશ ટિકૈત કર્ણાટકના પ્રવાસે
સ્થાનિકોને 26 માર્ચે કર્ણાટક બંધ માટે કર્યું આહવાન
મોદી સરકારની ચિંતામાં થઇ શકે વધારો
ઉલ્લેખનીય છે કે, ખેડૂત કાયદાના વિરોધમાં દિલ્હીને ઘેરીને બેઠેલા ખેડૂતોએ કૃષિ કાયદાના વિરોધમાં 26 માર્ચે ભારત બંધનું એલાન કર્યું છે ત્યારે ખેડૂત નેતા હાલ રાકેશ ટિકૈત કર્ણાટક પહોંચ્યા છે.
26 માર્ચે કર્ણાટક બંધનું કર્યું આહવાન
ટિકૈતે બેંગાલૂરૂમાં ખેડૂતોને 26 માર્ચે કર્ણાટક બંધ કરવાનું આહવાન કર્યું છે. રાકેશ ટિકૈતે કહ્યું કે, ખેડૂતો તરફથી સારી પ્રતિક્રિયા મળી છે. તેમણે એમપણ કહ્યું કે, ખેડૂતોને પણ ન્યૂનતમ સમર્થન મૂલ્યને લઈને સમસ્યા છે.
બેંગાલૂરૂને દિલ્હી બનાવવાની કરી વાત
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી ખેડૂત કાયદા પરત લેવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે. ટિકૈતે કહ્યું કે, બેંગાલૂરૂમાં આંદોલનનું નવું પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવશે. સ્થાનિકોને તેમણે અપીલ કરી કે, જેઓ દિલ્હી નથી જઇ શકતા તેઓ અહીં રહીને આંદોલન કરો, આપણે બેંગાલૂરૂને દિલ્હી બનાવવું છે.
ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની કરી અપીલ
ખેડૂત નેતા ટિકૈતે સ્પષ્ટ કર્યું કે, 22 જાન્યુઆરીને લઈને અત્યાર સુધીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે કોઇપણ પ્રકારની વાતચીત થઇ નથી. તો એવું પણ ઉમેર્યું કે, સરકાર અમને ક્યાંય મળશે તે અમે જરૂર વાત કરીશું. તો ખેડૂતોને ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી.