હિંમતનગરમાં શાંતિપૂર્ણ માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. SRP, RAF, CRPFનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી હિજરત કરનારા પણ પરત ફર્યા છે.
સાબરકાંઠામાં ત્રણ દિવસ બાદ જનજીવન બન્યું સામાન્ય
કાયદાનું ઉલ્લંઘન કરનારા દંડાશે: SP
વણઝારાવાસમાં SRP, RAF, CRPFનો ચુસ્ત બંદોબસ્ત
રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસા બાદ ચારે બાજુ આક્રોશ ના ફાટી નીકળે તે માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. ત્યારે હિંમતનગરમાં જૂથ અથડામણ બાદ હવે શાંતિપૂર્ણ માહોલ સ્થપાયો છે. વણઝારા વાસમાં હિજરત કરતા રહીશો સમજાવટ બાદ ઘરે પરત આવ્યા છે. હાલમાં વણઝારા વાસમાં SRP, RAF, CRPFનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
હિંમતનગરમાં આજે 144ની કલમની મુદ્દત પૂર્ણ થાય છે, કાયદાનું ઉલ્લંઘન કરનાર દંડાશે : SP
સાબરકાંઠામાં ત્રણ દિવસ બાદ જનજીવન સામાન્ય બન્યું છે. મહત્વનું છે કે, રામનવમીના દિવસે હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસાથી ફરી રાજ્યની સાંપ્રદાયિકતા દૂષિત થઈ હતી. હિંમતનગરમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. જેના સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતાં. બાદમાં 144મી કલમ લાગુ કરાઈ હતી. પોલીસ તંત્રએ હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે કાબુ મેળવી લીઘો છે. હિંમતનગરમાં આજે 144ની કલમની મુદ્દત પૂર્ણ થાય છે. ત્યારે આ મામલાને લઇને જિલ્લા પોલીસ વડાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ જણાવ્યું છે કે, 'શાંતિમય માહોલ જિલ્લાની ઓળખ છે. તમામ પ્રજાજનોનો સાથ સહયોગ જરૂરી. કાયદાનું ઉલ્લંઘન કરનાર દંડાશે.'
તહેવારના સમયે શાંતિ અને ઉલ્લાસમાં માનતી ગુજરાતી પ્રજાને જો આક્રોશની સ્થિતિનો સામનો કરવો પડે તો પરિસ્થિતિ વિપરીત થઈ જાય છે.10 એપ્રિલ અને રામનવમીના દિવસે શોભાયાત્રામાં આક્રોશની આગ ભભૂકશે તે આયોજકો, રેલીમાં જોડાનારા લોકો અને ઉત્સવનો ઉમંગ માણી રહેલા લોકોને પણ કદાચ ખ્યાલ નહીં હોય.અચાનક સ્થિતિ બદલાઈ ગઈ અને હિંમતનગરના છાપરીયા અને ખંભાતના ટાવર ચોક પાસે રામનવમીની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો, બે જૂથના લોકો સામ સામે આવી ગયા.ક્યાંક ગાડીઓમાં આગચંપી થઈ, લોકોના ઘર સળગાવાયા તો ક્યાંક પથ્થરમારામાં નિર્દોષોના જીવ લેવાયા.પરિસ્થિતિ બેકાબૂ બનતા પોલીસે સમગ્ર ઘટના પર ત્વરિત પગલા ભર્યા અને જવાબદારો સામે કાર્યવાહી પણ કરી.હવે સવાલ એ છે કે શાંતિપ્રિય ગુજરાતમાં તહેવારોના સમયે અશાંતિ ફેલાવવાનું કામ કોણ કરે છે?.ધર્મ-અધર્મ અને વિધર્મના નામે ષડયંત્રો કોણ ફેલાવે છે?.હિંમતનગર અને ખંભાતમાં હિંસા ફેલાવા પાછળનું કારણ શું છે?
10 આરોપીઓને કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડ
સમગ્ર બાબતે ગુજરાત સરકાર અને પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં હિંસા મામલે ગત રોજ મોડી રાત્રે ચીફ જ્યુડીશિયલ કોર્ટમાં કુલ 22 આરોપી રજૂ કરાયા હતા. જેમાંથી કોર્ટે 10 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે એ ડિવિઝનમાં દાખલ થયેલી ફરિયાદમાં 11 આરોપી કરાયા રજૂ થયા હતા જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 2 ફરિયાદમાં આરોપીઓને રજૂ કરવામાં આવ્યા હતા.આગામી 16 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર થતાં પોલીસ તપાસમાં વધુ મોટા ખૂલાસા બહાર આવી શકે છે. હિમંતનગર હિંસા કેસમાં 900થી વધુ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
શાંતિ ભંગ કરનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં: CM
મંગળવારે રાત્રે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં હિંમતનગર અને ખંભાતમાં થયેલી હિંસા અંગે બેઠક મળેલી. જેમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી DGP તથા મુખ્ય સચિવ, ગૃહ સચિવ સહિતના ઉચ્ચાધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપતા કહ્યું છે કે રાજ્યની શાંતિને ડહોળવા માગતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી દેવામાં આવી છે. સામાજીક સૌહાર્દ જળવાઇ રહે તે માટે સરકાર સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શાંતિ ભંગ કરનાર તત્વોને કોઇ પણ સંજોગોમાં સાંખી લેશે નહીં. ખંભાતની ઘટનામાં 9 આરોપીઓની ધરપકડ કરી જ્યારે હિંમતનગરની ઘટનામાં 22 આરોપીઓની ધરપકડ કરાઇ છે. બંને શહેરોની ઘટનાઓ મુદ્દે CMને માહિતી આપવામાં આવ્યા બાદ તેમણે કડકમાં કડક પગલા લેવાના આદેશ આપી દીધા છે.
સોમવારની રાત્રે હિંમતનગરના હસનનગરમાં ફરી ભડકી હતી હિંસા
10 એપ્રિલ 2022ના રોજ હિંમતનગરમાં રામનવમી શોભાયાત્રા પર પથ્થરમારા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જે બાદ સોમવારની રાત્રે 11 વાગ્યા આસપાસ સાબરકાંઠાના હિંમતનગરમાં ફરી તંગદીલીનો માહોલ જોવા મળ્યો હતો. હસનનગર વિસ્તાર માંથી પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હતી. હસનનગર વિસ્તારમાં આવેલા વણઝારાવાસમાં બે ટોળાઓ સામસામે આવી જતા સ્થિતિ થોડી ઘડીઓ માટે અજંપાભરી થઈ ગઈ હતી. સામ સામે પથ્થરમારો કર્યા બાદ પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો હતો. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટિયરગેસના સેલ છોડ્યા હતા. પોલીસ જે ઘટના સ્થળે હતી પણ અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો ફરી હિંસા ભડકાવવાના પ્રયાસ કર્યા હતા. તે ઉપરાંત પેટ્રોલ બોમ્બ પણ અલગ અલગ જગ્યાએથી નાખવામાં આવી રહ્યા હતા જેના કારણે પોલીસને પણ સ્થતિ સમજવામાં સમય લાગી રહ્યો હતો. ભારે જહેમત બાદ ત્યાં કાબૂ મેળવવામાં આવ્યો હતો.
ગૃહ રાજ્યમંત્રી અને DGPએ સ્થાનિક અધિકારીઓ સાથે કરી હતી બેઠક
DGP આશિષ ભાટીયાએ માહિતી આપતા કહ્યું કે ફરીથી કોઇ આવી ઘટના ન બને તેનું ધ્યાન રખાવામાં આવશે. કમ્યુનલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા સૂચના અપાઇ છે. ઘટના અંગે ગુના દાખલ કરી તપાસ અને આરોપીઓને પકડવા માટે અલગ- અલગ ટીમની રચના કરવામાં આવી છે. પોલીસનું સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, બહારથી અસામાજિક તત્વોને આવતા રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કોઇ તોફાન કરી ફરાર ન થાય તેની તકેદારી રખાવામાં આવશે. તે સાથે RAFની 2, SRP ની 4 ટીમો પણ તૈનાત કરાઈ છે.