ભારતીય જનતા પાર્ટીએ મોરબી બેઠક પરથી કાંતિ અમૃતિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. પાર્ટીએ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં આવેલા વર્તમાન ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું પત્તુ કાપી નાખ્યું છે.
મોરબી બેઠક પર બ્રિજેશ મેરજાના સ્થાને કાંતિ અમૃતિયાને ટિકિટ
કાંતિ અમૃતિયાએ મોરબી મતવિસ્તારનું પાંચ વખત કર્યું છે પ્રતિનિધિત્વ
નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે કરી હતી શરૂઆત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે. આજે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. સૌરાષ્ટ્રની મહત્વની ગણાતી બેઠક મોરબી-માળિયા પરથી ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન ધારાસભ્ય બ્રિજેશ મરેજાનું પત્તુ કાપીને કાંતિ અમૃતિયાને ટિકિટ આપી છે. પાર્ટી દ્વારા કાંતિ અમૃતિયા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવતા તેમના સમર્થકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. મોરબી ભાજપના કાર્યકર્તામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આજે અમે આપને કાંતિ અમૃતિયા વિશે કેટલીક ખાસ વાત જાણાવીશું....
લોકોને બચાવવા કૂદ્યા હતા નદીમાં
મોરબીમાં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને કારણે રાજ્યભરમાં શોકનો માહોલ વ્યાપી ગયો હતો. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. ત્યારે પોતાના જીવની પરવાહ કર્યા વિના મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા બચાવ કામગીરીમાં લાગી ગયા હતા. તેઓ પોતે લોકોને બચાવવા માટે મચ્છુ નદીમાં ઉતર્યા હતા. જેના વીડિયો પણ સામે આવ્યા હતા.
કોણ છે કાંતિ અમૃતિયા?
પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ શિવલાલ અમૃતિયાનો જન્મ 8 માર્ચ 1962ના રોજ મોરબી જિલ્લાના જેતપરમાં પટેલ સમુદાયના પરિવારમાં થયો હતો. મોરબીમાં પૂર દરમિયાન 1970ના દાયકામાં એક નાના છોકરા તરીકે પણ તેમણે પીડિતોના પુનર્વસન માટે સેવા આપી હતી. તેમણે મોરબીની વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. એક યુવાન તરીકે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, એક વિદ્યાર્થી સંગઠનમાં જોડાયા અને નવનિર્માણ ચળવળમાં સામેલ થયા હતા. સંસ્થામાં પૂર્ણ-સમયના સભ્ય તરીકે કામ કર્યા પછી, તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.
કાંતિ અમૃતિયાનો રાજકીય ઇતિહાસ
મહત્વનુ છે કે, કાંતિ અમૃતિયાએ તેમના સામાજિક જીવનના પ્રારંભિક વર્ષો દરમિયાન આરએસએસમાં સ્વયંસેવક હતા. તેમણે સ્થાનિક સ્તરે પક્ષના કાર્યકરોને ઉત્સાહિત કરવાનું પડકારજનક કાર્ય હાથ ધર્યું હતું. પ્રારંભિક સમયગાળામાં તેમણે મોરબીની નગરપાલિકા અને તાલુકા પંચાયતના સભ્ય તરીકે શરૂઆત કરી હતી.
મોરબીમાં પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું
કાંતિભાઈ પ્રથમ વખત 1995માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારથી 2013 સુધી તેઓ ધારાસભ્ય તરીકે મોરબીના મતવિસ્તારમાં સેવા આપી હતી. ડિસેમ્બર 2012માં ગુજરાત રાજ્યની ચૂંટણીમાં કાનાભાઈ 5મી વખત ચૂંટાયા હતા. તેમણે મોરબી મત વિસ્તારનું પાંચ વખત પ્રતિનિધિત્વ કર્યું હતું. મોરબી અને આસપાસના લોકો તેમને કાનાભાઈના નામથી જાણીતા છે. તેમણે ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે કામ કર્યું છે. મહત્વનું છે કે, 30 ઓગસ્ટ 2015ના રોજ મોરબી સિરામિક ફેડરેશનના મુખ્યમથકને પાટીદાર ટોળા દ્વારા આગ લગાવ્યાના 5 દિવસ બાદ કાંતિ અમૃતિયાએ તેમના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું. અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલની ધરપકડ બાદ ફાટી નીકળેલી હિંસા દરમિયાન તેમની ઓફિસને સળગાવી દેવામાં આવી હતી.
પ્રકાશ રવેશિયા હત્યા કેસમાં કોર્ટે નિર્દોષ જાહેર કર્યા
આ સાથે પ્રકાશ રવેશિયા ચકચારી મર્ડર કેસમાં કાંતિ અમૃતિયાને નિર્દોષ જાહેર કર્યા હતા. મોરબી શહેરમાં તારીખ 16 સપ્ટેમ્બર 1999ના રોજ ચાર વ્યક્તિએ પ્રકાશ રવેશિયાની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી હતી. આ હત્યાનો કેસ ગોંડલની કોર્ટમાં ચાલતો હતો અને 10 નજરે જોનાર સાક્ષી અને 170 બીજા સાક્ષીઓ કોર્ટમાં ફરી ગયા હતા. ત્યારબાદ વર્ષ 2004માં કાંતિ અમૃતિયા સહિત સાત લોકોને ગોંડલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ કાંતિ અમૃતિયાએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને 26 ઓક્ટોબર 2007ના રોજ હાઈકોર્ટે કાંતિ અમૃતિયાને નિર્દોષ જાહેર કર્યા હતા.