રાજ્યમાં વધી રહેલા અકસ્માતોની સંખ્યામાં વધારો કરતો વધુ એક અકસ્માત આજે મોડાસા હિંમતનગર રોડ પર સર્જાયો છે. આ ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં એક દૂધનું ટેન્કર અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો. કારને ટક્કર માર્યા બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે મોડાસા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર અહેવાલ પર નજર કરીએ તો, મોડાસા હિંમતનગર રોડ પર રસુલપુર ખાતે દૂઘના ટેન્કર અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ ઘટનામાં દૂધના ટેન્કરે કારને પાછળથી ભીષણ ટક્કર મારી હતી. આ ઘટનામાં કાર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું, જ્યારે અન્ય 3 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.
અરવલ્લીમાં માર્ગ અકસ્માતમાં ત્રણના મોત, કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, મોડાસાના રસુલપુર પાસે સર્જાયો અકસ્માત, કારમાં બેઠેલ ત્રણના મોત, ત્રણ ઘાયલ
મૃતકો મુલોજ ગામના વતની, મોડાસા ગ્રામ્ય પોલીસે હાથ ધરી તપાસ pic.twitter.com/5187f8xgtw
આ ઘટનામાં કારમાં સવાર તમામ મૃતકો મુલોજ ગામના હોવાનું સામે આવ્યું છે. આ મામલે મોડાસા રૂરલ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં ટેન્કરે કારને એટલી ભીષણ ટક્કર મારી હતી કે, કાર રસ્તા પરથી બાજુમાં ધકેલાઇ ગઇ હતી, અને તેનું પડીકું વળી ગયું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોએ ભેગા થઇને રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.