જો ધારાસભ્યોની ફરિયાદ સાચી હોય તો સવાલ ઉઠે છે કે જૉ સરકારી કચેરીઓમાં ધારાસભ્યો સાથે જ આ પ્રકારનું વર્તન થઈ રહ્યું હોય તો સામાન્ય પ્રજાનું શું થતું હશે?
ગાંધીનગરમાં ત્રણ ધારાસભ્યો ધરણાં પર બેઠા
સ્વર્ણિમ સંકૂલમાં ધરણાં પર બેસતા રાજકારણ ગરમાયું
શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીને નિરાકરણ માટે કરી અપીલ
ધારાસભ્યો સાથે ગેરવર્તન!
ભારતમાં રાજનેતાઓનો અલગ જ રોફ હોય છે, અને રાજનેતાઓને સેલિબ્રિટી જેવી સુવિધાઓ મળતી હોવાના કિસ્સાઓ પણ જોવા મળે છે. દેશમાં અનેકવાર એવી ઘટનાઓ સામે આવી છે જેમાં રાજનેતાઓ દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોય. જોકે ગુજરાત મોડલમાં આ બધુ ઓછું થાય છે, અહિયાં સ્વર્ણિમ સંકૂલમાં જ ધારાસભ્યો સાથે જ ઉદ્ધતાઈ ભરેલું વર્તન કરવામાં આવ્યું હોવાની ફરિયાદ થઈ છે. આટલું જ નહીં ધારાસભ્યોને એટલું બધુ લાગી આવ્યું કે તે ત્યાં જ ધરણાં પર પણ બેસી ગયા.
ત્રણ ધારાસભ્યો બેઠા ધરણાં પર
કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલ ગાંધીનગરમાં ધરણાં પર બેસી ગયા. તેમને જોઈને આસપાસના નેતાઓ અને અધિકારીઓ પણ બે ઘડી રોકાઈ ગયા હતા. ધારાસભ્યોની માંગ છે કે સુરક્ષાકર્મીઓ પર જ્યાં સુધી કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ત્યાંથી હટશે નહીં.
ધારાસભ્યો સાથે જ આવું વર્તન?
ધરણાં પર બેસેલા કોંગ્રેસના ધારાસભ્યોની ફરિયાદ છે કે સુરક્ષાકર્મી દ્વારા તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવ્યું. જો ધારાસભ્યોની ફરિયાદ સાચી હોય તો સવાલ ઉઠે છે કે જૉ સરકારી કચેરીઓમાં ધારાસભ્યો સાથે જ આ પ્રકારનું વર્તન થઈ રહ્યું હોય તો સામાન્ય પ્રજાનું શું થતું હશે?
શક્તિસિંહ ગોહિલની અપીલ : મુખ્યમંત્રી લાવે નિરાકરણ
સમગ્ર મુદ્દે કોંગ્રેસ નેતાઓએ સરકાર સામે બાંયો ચડાવી છે. કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સિક્યુરિટી દ્વારા અપમાનિત કરવાના કારણે કોંગ્રેસના ધારાસભ્યોને ઉપવાસ પર બેસવું પડ્યું તે ખૂબ જ શરમજનક ઘટના છે. મુખ્યમંત્રી રૂપાણીએ આ મુદ્દે તરત જ નિરાકરણ કરવું જોઈએ.
સરકારે આપ્યો ઠપકો
સરકાર તરફથી શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે કોઈ પણ કર્મચારીએ કોઈ પણ પક્ષના ધારાસભ્ય સાથે વિવેકથી વાત કરવી જોઈએ અને તેમનું માન સમ્માન જળવાય તે ખૂબ જ જરૂરી છે અને તે બાબતે જૉ ધ્યાન દોરવાની જરૂર હશે તો હું ચોક્કસ ધ્યાન દોરું છું અને આવું ફરીવાર ન બને તેનું ધ્યાન રાખવા પણ સૂચના આપવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
ધરણાં પર બેઠેલા ધારાસભ્ય લલીત કગથરાએ કહ્યું કે તે, લલીત વસોયા અને કિરીટ પટેલ ત્રણેય સ્વર્ણિમ સંકૂલ 1ના ગેટ પર આવ્યા ત્યારે અંદર જતાં ત્યારે ત્યાં સિક્યુરિટી દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા. જે બાદ ગેટ પર તેમના નામ નોંધવામાં આવ્યા. જોકે ધારાસભ્યોએ કહ્યું કે છેલ્લા ચાર વર્ષથી તો ક્યારેય નામ લખવામાં આવ્યા નથી. જે બાદ ઉપરી અધિકારીને બોલાવવામાં આવ્યા અને તે અધિકારીની સામે જ ધારાસભ્યો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યુ તથા અપમાનિત કરવામાં આવ્યા.