યાત્રાધામ હરિદ્વારમાં ફરવા ગયેલા રાજકોટના પરિવારના 3 વ્યક્તિઓ ગંગા નદીમાં ડૂબ્યા, ઘાટ પર પગ લપાસતા બની દુર્ઘટના
રાજકોટના પરિવાર સાથે ઉત્તરાખંડના હરીદ્વારમાં ગોઝારો બનાવ
દિકરીને બચાવવા જતા સાસુ અને જમાઈ પણ નદીમાં ડૂબ્યા
3 દિવસ અગાઉ રાજકોટથી હરિદ્વાર ગયો હતો પરિવાર
ઉત્તરાખંડના હરીદ્વારમાં રાજકોટના પરિવાર સાથે મોટી દુર્ઘટના ઘટી છે. રાજકોટના પરિવારના 3 વ્યક્તિઓ નદીમાં ડૂબ્યા હતા. આ ઘટનાને પગલે ઘાટ પર અફરાતફરી મચી હતી.
પગ લપાસતા બની દુર્ઘટના
ઉત્તરાખંડના હરીદ્વારના લક્ષ્મણ જુલામાં ગુજરાતી પરિવાર સાથે ગોઝારો બનાવ બન્યો છે. રાજકોટના રેવેન્યુ વિભાગના દિલીપ કારિયાનો પરિવાર 3 દિવસ અગાઉ હરીદ્વાર ફરવા ગયો હતો. જે દરમિયાન નદીમાં સ્નાન કરવા અર્થે લક્ષ્મણ જુલા ખાતે નિલકંઠ મહાદેવ નજીકના ઘાટ પર ગયા હતા, જ્યાં દિલીપભાઈની પૌત્રીનો પગ લપસતા પાણીમાં ડૂબવા લાગી હતી. આ દીકરીને ડૂબતાં જોઈ સાસુએ સૌ પ્રથમ નદીમાં ઝંપલાવી બચાવવાનો પ્રયાસ કર્યો હતો પણ નદીનું વહેણ વધારે હોવાને લીધે બંને તણાઇ રહ્યા હતા. જે બાદ દિલીપભાઈના જમાઈ પણ બંનેને બચાવા કુદ્યા હતા પણ તે પણ ડૂબવા લાગ્યા હતા.
સ્થાનિક તંત્રએ અન્ય 2 વ્યક્તિઓની નદીમાં શોધખોળ હાથધરી
બપોરે બનેલી આ ઘટનામાં દિલીપભાઈની પૌત્રી સાથે સાસુ અને જમાઈ પણ નદીમાં ડૂબાઈ જતાં ઘાટ પર બચાવો બચાવોની ચીસો પડતી હતી પણ નદીનું વહેણ વધારે હોવાને લીધે કોઈ બચાવવા જાય તે પહેલા ત્રણેય લોકો તણાઇ ગયા હતા. જે બાદ સ્થાનિક તંત્રને ઘટનાની જાણ કરવામાં આવતા સ્થાનિક તરવૈયાની મદદથી નદીમાં ગોતા લગાવીને ત્રણેય લોકોને શોધવાની કવાયત હાથ ધરાઇ હતી. જે બાદ મહામહેનતે નદીમાં ડૂબેલી મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ હજુ સુધી પણ અન્ય 2 વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીએ દિલીપ કારિયાના પરિવારને સાંત્વના પાઠવી છે જ્યારે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પરિવારને બનતી મદદની ખાતરી આપી છે. તેમજ બનાવ અંગે દૂખ વ્યકત કર્યું છે.