રાજ્યમાં ગમખ્વાર રોડ અકસ્માતની ત્રણ ઘટના સામે આવી છે જેમાં ત્રણના મોત થયા છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર કારચાલકે 3થી 4 વાહનોને અડફેટે લીધા છે, જેમાં 5 લોકોને ઇજાગ્રસ્ત થયાં છે.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત
વલસાડ બરઈ ગામે 2 બાઈક વચ્ચે અકસ્માત
સુરતમાં ટ્રકે અડફેટે લેતા યુવકનું મોત
રાજ્યમાં દિન પ્રતિદિન રોડ અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. આજે રાજ્યના ત્રણ અલગ અલગ જગ્યા અકસ્માતના બનાવો બન્યા છે. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત સર્જાયો છે, તો વલસાડના બરઈ ગામે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત થયાં છે જ્યારે સુરતમાં એક યુવકનું રોડ અકસ્માતમાં મોત થયું છે.
ભરૂચમાં બેકાબૂ બની કાર
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. કારચાલકે 3થી 4 વાહનોને અડફેટે લીધા છે જેમાં 5 લોકોને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. બ્રિજ પર ટ્રાફિક જામ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, કારે બેથી ત્રણ વાહનોને અડફેટે લેતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
વલસાડમાં અકસ્માતમાં બેના મોત
વલસાડના બરઈ ગામે 2 બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. 2 બાઈક સામસામે અથડાતા કાકા-ભત્રીજાનું મૃત્યું થયું છે. અન્ય એક ઘાયલ શખ્સ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ટ્રકે અડફેટે લેતા યુવકનું મોત
સુરત શહેરમાં એક અત્યંત દુઃખદ પ્રસંગ બન્યો છે. શહેરના ગોડાદરા બ્રિજ પાસે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં પોતાના લગ્નની કંકોત્રી વહેચવા નીકળેલા યુવકનું મોત નીપજ્યું છે. 26 વર્ષીય યુવકને કાળમુખો ટ્રક ભરખી જતાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો છે. લગ્ન ત્રણ દિવસ પહેલાં યુવકનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી અનુસાર, સુરતની ગોડાદરા લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા જીતેન્દ્રદાન ચારણના 22મી ફેબ્રુઆરીએ લગ્ન હોવાતી તેઓ શુક્રવારે સંબંધીઓને લગ્નની કંકોત્રી આપવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન ગોડાદરા ફ્લાય ઓવરબ્રિજ પાસે સિમેન્ટ ભરેલા ટ્રકે યુવકને ટક્કર મારી હતી. જે બાદ તેઓને સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ જીતેન્દ્રદાન ચારણ મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
જાનની જગ્યાએ ઘરેથી અંતિમયાત્રા નીકળી
લગ્ન પ્રસંગમાં યુવકના નિધનથી પરિવાર શોકમાં ગરક થઈ ગયો છે. જ્યાં ત્રણ દિવસ બાદ લગ્નના મંગલ ગીતો ગવાતા હતા ત્યા હવે મરશીયા ગાવાનો સમય આવી ગયો છે. વરરાજાની જાન જવાને બદલે વરરાજાની અર્થી ઉઠી છે. વરરાજા જીતેન્દ્રદાન ચારણનું ટ્રેકની અડફેટે મોત થતાં પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાલ આ મામલે પુણા પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.