ઇદની રજાઓમાં બાયડના ઝાંઝરીમાં ફરવા આવેલા 3 યુવાનોના ભોગિયા ધરામાં ડૂબી જવાથી મોત, ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયા
બાયડના ભોગિયા ધરામાં ત્રણ યુવક ડૂબ્યા
ત્રણેયના મૃતદેહ બહાર કઢાયા
18 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યુ ઓપરેશન
અરવલ્લીના બાયડમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાયડના ભોગિયા ધરામાં ત્રણ યુવકો ડૂબી ગયા હતા આ ત્રણેયના મૃતદેહ બહાર કઢાયા છે. 18 કલાકની ભારે જહેમત બાદ ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. મહત્વનું છે કે અરવલ્લીના બાયડના ઝાંઝરીના ભોગીયા ધરામાં ત્રણ યુવાનો ન્હાવા પડ્યા હતા. તેઓ ડૂબી ગયા હોવાની જાણ થતા તંત્ર દોડતુ થયુ હતું. મૃતદેહને શોઘવા માટે રેસક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતું.
ઇદની રજાઓમાં ફરવા આવ્યા હતા
રમજાન ઇદ હોવાને કારણે 10 યુવાનો રજા હોવાથી ફરવા આવ્યા હતા. ઝાંઝરીના ભોગિયા ધરામાં 3 યુવાનો ન્હાવા પડ્યા હતા. પાણીમાં મોજ મસ્તી કરતા આ યુવાનોની ખુશી પળવારમાં જ છીનવાઇ ગઇ. ઇદની રજાઓનો ઉત્સાહ પળવારમાં જ માતમમાં ફેરવાઇ ગયો. ન્હાવા પડેલા ત્રણેય યુવાનો ડૂબવા લાગ્યા. આ મામલે તંત્રને જાણ થતા યુવકોની શોધવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેનું નામ હસન મન્સૂરી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય બે યુવાનોની શોઘખોળ શરુ કરવામાં આવી હતી.
મૃતદેહ પીએમ માટે લઇ જવાયા
ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકની લાગણી ફરી વળી છે. સ્વજનોની આંખમાંથી આંસુ સુકાઇ રહ્યા નથી. ઇદના પર્વ નિમિત્તે રજા હોવાથી યુવાનો ફરવા આવ્યા હતા અને આવી દુઃખદ ઘટના બની. ઘટનાને પગલે પોલીસે મૃતદેહોને પીએમ માટે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે લોકોને પણ એક અપીલ છે કે કોઇ પણ નદી કે તળાવમાં ન્હાવા ન કૂદી પડશો. જીવ જોખમમાં મુકાય તેવી કોઇ હોડ ન લગાવો. આ પ્રકારની લાપરવાહી તમારો જીવ લઇ શકે છે.