વોર્ડમાં કામ ન થતા હોવાની નારાજગી અથવા તો અંદરોઅંદરના રાજકારણના કારણે પાલિતાણા નગરપાલિકામાં 3 નગરસેવકોએ રાજીનામા ધરી દીધા હોવાની ચર્ચા.
પાલિતાણા નગરપાલિકામાં 3 નગરસેવકોના રાજીનામા
સત્તાધારી ભાજપના જ નગરસેવકોએ નારાજગી વ્યક્ત કરી
અંદોરોઅંદરનું રાજકારણ કારણભૂત હોવાની ચર્ચા
ભાવનગરની પાલિતાણા નગરપાલિકામાં 3 નગરસેવકોએ રાજીનામા ધરી દેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સત્તાધારી ભાજપના જ નગરસેવકોએ નારાજગી વ્યક્ત કરી રાજીનામા ધરી દેતા હડકંપ મચ્યો છે.
ભાવનગર: પાલિતાણા નગરપાલિકામાં વોર્ડ નંબર-1ના 3 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામા, અજય જોષી, રોશનબેન અબડા અને કિરણબેન કુકડેજાએ આપ્યું રાજીનામું, વોર્ડમાં કામ ન થવા અને અંદરોઅંદરનું રાજકારણ કારણભૂત હોવાની ચર્ચા#Bhavnagar#Gujarat
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 22, 2022
વોર્ડમાં કામ ન થતા હોવાની નારાજગી અને અંદરોઅંદરનું રાજકારણ કારણભૂત હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ત્રણેય નગરસેવકો એક જ વોર્ડના છે આથી કામ બાબતની પણ નારાજગી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. વોર્ડ નંબર-1ના ત્રણ કોર્પોરેટરોએ રાજીનામા ધરી દેતા ભાજપ સંગઠનમાં એકાએક દોડધામ મચી જવા પામી છે. વોર્ડ નંબર-1ના અજય જોષી, રોશનબેન અબડા અને કિરણબેન કુકડેજાએ રાજીનામા આપ્યા છે. હાલમાં ત્રણેય નગરસેવકોને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યાં છે.
નગરસેવકો એક જ વોર્ડના હોવા છતાં કામ બાબતની પણ નારાજગી
ત્રણેય કોર્પોરેટરોએ નારાજગી વ્યક્ત કરતા પાલીતાણામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે પાલિતાણા પાલિકામાં ભાજપની સત્તા છે તેમ છતાં કામગીરી ન થતા કોર્પોરેટરોમાં રોષ જોવા મળી રહ્યો છે. નગરસેવકો એક જ વોર્ડના હોવા છતાં સંકલનના અભાવે કામ નથી થઇ રહ્યાં હોવાના કારણે તેઓની અંદર નારાજગી જોવા મળી રહી છે. ત્રણેય નગરસેવકોએ ડેપ્યુટી કલેક્ટરને રાજીનામા ધરી દીધા છે.
મારા ધંધાના કારણે સતત બહાર રહેવાનું હોવાના કારણે મે રાજીનામું આપ્યું: અજય જોષી
જો કે, આ મામલે નગરસેવક અજય જોષીનું કહેવું એમ છે કે, મારે કોઇ પ્રશ્ન નથી પરંતુ મારા ધંધાના કારણે મારે સતત બહાર ને બહાર રહેવાનું થતું હોય છે. જેના લીધે હું મતદારોના કામને પૂરતો વેગ આપી નથી શકતો. ભાજપે જે વિકાસની ગાથા શરૂ કરી છે તે અટકે નહીં તેના કારણે મે મારું સ્વૈચ્છિક રાજીનામું ધર્યું છે. ભાજપ દ્વારા જે વિકાસની યાત્રા થઇ રહી છે તેને વેગ આપવા માટે અને મારા કામના કારણે મારે સતત બહાર રહેતુ પડતું હોવાના કારણે મે સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે.