યુપીના અમેઠી જિલ્લાના ગામ હારીમઉમાં છેલ્લા 1 મહિનામાં 20 લોકોના મોત થતા હડકંપ મચ્યો છે.
યુપીના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાએ ભયાનક સ્વરુપ ધારણ કર્યું
યુપીના અમેઠી જિલ્લાના ગામ હારીમઉની ઘટના
અમેઠી કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો મતવિસ્તાર
એક મહિનામાં 20 થી 30 લોકોના મોત થયા
યુપીના ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાએ ભયાનક સ્વરુપ ધારણ કર્યું છે. એવા કેટલાય ગામો છે કે જ્યાં એક મહિનામાં 20 થી 30 લોકોના મોત થયા છે તેમ છતાં પણ ત્યાં ટેસ્ટિંગ થઈ રહ્યાં નથી. શરદી-ખાંસી થાય છે અને થોડા દિવસોમાં દર્દીઓના મોત થઈ જાય છે.
આવી ડરામણી સ્થિતિ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીના સંસદીય ક્ષેત્રના ગામોની છે. ગામના રહેવાશી રાજેન્દ્ર કૌશલે જણાવ્યું કે સચ્ચાઈ એ છે કે 17-18 લોકોના મોત થયા છે. એક એક ઘરમાંથી ત્રણ-ત્રણ લાશ નીકળી છે. એમ્બ્યુલન્સને ફોન કરીએ તો જવાબ મળે છે આવે છે પરંતુ આવતી નથી. ગામના રહેવાશીએ જણાવ્યું કે મોતનું કારણ જાણવા મળ્યું નથી. સ્વાસ્થ્ય વિભાગની ટીમ આવે છે અને દવા આપીને જતી રહે છે. 51 વર્ષીય એક શખ્સે જણાવ્યું કે તેમણે તેમની જિંદગીમાં આટલા મોત જોયા નથી.
છેલ્લા કેટલાક દિવસથી યુપી, બિહાર અને કંઈક અંશે મધ્યપ્રદેશમાં લાશોને ગંગા નદીમાં પધરાવવાના આઘાતજનક કિસ્સા બની રહ્યાં છે. યુપી અને બિહારમાં તો છેલ્લા થોડા સમયથી સેંકડો લાશો ગંગા નદીમાં તરતી જોવા મળી રહી છે. આ ઘટનાને પગલે ગંભીર થયેલી કેન્દ્ર સરકારે હવે રાજ્ય સરકારને આદેશ આપ્યો છે.
નદીઓમાં તરતી લાશોના સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવે
કેન્દ્રીય વોટર મિનિસ્ટ્રીએ યુપી અને બિહાર સરકારને જણાવ્યું કે નદીઓમાં તરતી લાશોના સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવે. મંત્રાલયની આજે એક સમીક્ષા બેઠક મળી. બેઠકમાં કહેવાયું ગંગામાં તરતી લાશો એકદમ અનુચિત અને ચિંતાજનક છે.