લૉકડાઉનની વચ્ચે રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત બાદ આજે ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સુત્રો દ્વારા મળી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે કોંગ્રેસના ત્રણ પાટીદાર ધારાસભ્યો સાથે ગાંધીનગરમાં બંધ બારણે બેઠક કરી છે. રાજ્યસભા ચૂંટણી ટાંણે જ આ ત્રણ પાટીદાર કોંગી ધારાસભ્યોની મિટીંગ સૂચક સાબિત થઈ છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજ્યના રાજકારણમાં ગરમાવો
નીતિન પટેલ સાથે કોંગ્રેસના 3 ધારાસભ્યોએ કરી મુલાકાત
લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલે કરી મુલાકાત
આવનાર 19 જુનના રોજ રાજ્યસભાની ચાર સીટો માટે મતદાન યોજાવાનું છે. રાજ્યસભાની ચાર સીટ માટે સભ્યસંખ્યા ન હોવા છતાં ભાજપે ત્રણ ઉમેદવારો ઉતારી કંઈ ખેલ પાડવાનું નક્કી કર્યું છે. ત્યારે નીતિન પટેલ સાથે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોની મુલાકાત ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર છે. નીતિન પટેલ સાથે મુલાકાત કરનાર ત્રણ પાટીદાર ધારાસભ્યોમાં ધોરાજી-ઉપલેટાના MLA લલિત વસોયા, પડધરી-ટંકારાના MLA લલિત કગથરા અને MLA કિરીટ પટેલનો સમાવેશ થાય છે.
આજે બપોરે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ -1 ખાતે નીતિન પટેલની ઓફિસમાં ત્રણેય ધારાસભ્યની ખુબ લાંબી બેઠક ચાલી હતી. બેઠકમાં શુ ચર્ચા થઈ એ અંગે કોઈ વિશેષ જાણતું નથી. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યસભાની ચૂંટણી અંગે ચર્ચા થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
પોતાના મતવિસ્તારોના પ્રશ્નો મુદ્દે રજૂઆત માટે ગયા હોવાનું નિવેદન
જોકે નીતિન પટેલ સાથે કોંગ્રેસના 3 ધારાસભ્યો મુલાકાત અંગે કોંગ્રેસના ધારાસભ્યએ ખુલાસો કર્યો છે. લલિત કગથરાએ કહ્યું કે, મારા વિસ્તારના ખેડૂતોને પાસા હેઠળ પકડવા બાબતે મુલાકાત કરી છે. ખેડૂતોને મુક્ત કરવા બાબતે CM અને DyCMને રજૂઆત કરી છે. કિરીટ પટેલે હોસ્પિટલની સ્થિતિને લઇ રજૂઆત કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.