મોરબી જિલ્લાનાં નાના એવા ગામમાં અરેરાટીભરી ઘટના.ખેતીના પાણી માટે ત્રણ ભાઈઓ જુદ્ધે ચઢ્યા. વચલા ભાઈની નિર્મમ હત્યા
પાણી માટે ત્રણ ભાઈ વચ્ચે ખેલાયેલું ધીંગાણું
બંને ભાઈઓએ કરી વચલા ભાઈની હત્યા
મૃતકની પત્નીએ નોંધાવી જેઠ-દિયર સામે ફરિયાદ
હળાહળ કળીયૂગમાં એક પરિવાર અને ભાઈઓ-બહેનો એક સંપથી રહેતા હોય તેવા કિસ્સા જવલ્લેજ સામે આવે છે. એક મેકના રખોપા કરવા-મદદ કરવી અને રામના આદર્શો મુજબનો ભ્રાતૃભાવ હવે મળવા મુશ્કેલ હોવાની પ્રતીતિ કરાવતો એક કિસ્સો મોરબીમાં બન્યો છે. ખેતીના પાણી માટે ત્રણ ભાઈઓ વચ્ચે ખેલાયેલા છુટ્ટા હાથના ધીંગાણે એક ભાઈની લોથ ઢળી ગઈ હતી.મૃતકની પત્નીએ પોતાના દિયર અને જેઠ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે
.પાણી માટે ખૂનના 'પ્યાસી'
ભગવાન રામના સમય પછી એક સમય એવો આવ્યો કે પરિવારમાં બે સગા ભાઈઓ હોય તો રામ-લક્ષ્મણ જેવા દીકરા તરીકે સમાજમાં સ્થાન પામતા. પણ એ કહેવતો માત્ર હવે પુસ્તકો અને ગ્રામ્ય સંસ્કૃતિની બોલી પૂરતા જ શોભે છે. મોરબીના હળવદ પંથકના દિઘડિયા ગામની સીમમાં એક પરિવારમાં 'દેવના દીધેલા' ત્રણ હતા. અને કહેવાય છેકે, ખેતરો પણ બાજુ-બાજુમાં. અહીં સંપ જ નહોતો તો જંપ તો હોય જ નહિ ?ખેતીનું પાણી વાળવા,ત્રણ ભાઈઓ વચ્ચે માથાકૂટ ચાલતી રહેતી હતી, પરિણામે પરિવારની વહુઆરુ વચ્ચે પણ મનદુઃખ રહેતું.
ભાઈઓએ એક સંપ કરી વચલાનો કાંટો કાઢ્યો
છેલ્લા બે-ત્રણ દિવસથી ખેતીના પાણી માટે ચાલતી રહેતી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ પકડ્યું.મોટા અને નાના ભાઈએ એક સંપ કરીને વચલા પર 'ઘા' કરી લીધો અને ત્રણે'ય ભાઈઓ જાણે એક-બીજાના લોહીના તરસ્યા હોય તેમ ધીંગાણે ચઢ્યા.મોટા અને નાના ભાઈ પર ઝનૂન સવાર હતું. આ તરફ વચલો ભાઈ અને તેની પત્ની-પુત્રી અસહાય. તેમાં વચલા ભાઈનું મોત નીપજ્યું.વચલા ભાઈની પત્ની તથા બાળકીને પણ ગંભીર ઈજાઓ પહોચી હતી.
નિસહાય પત્નીની પોલીસ ફરિયાદ
મૃતકની પત્નીએ પોતાના દિયર અને જેઠ સામે મારામારીથી માંડી હત્યા કરવા સુધીની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. નાના એવા ગામમાં બે ભાઈઓએ એકસંપ કરને વચલા ભાઈનું કાટલું કાઢી નાખ્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. સૌથી મોટી બાબત એ છે કે, ખેતીના પાણી માટે લોહી તરસ્યા બની ગયેલા ભાઈઓણે હવે પોલીસ શોધે છે.