પ્રધાનમંત્રી મોદીને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હોય છે. ગુજરાતમાં ચાલી રહેલી ચૂંટણીની વચ્ચે પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે.
વોટ્સએપ નંબર પર આવ્યો ઓડિયો મેસેજ
દાઉદના બે શૂટર્સને કામે લગાડાયા
ધમકીને પગલે મુંબઈ પોલીસ થઈ એલર્ટ
શુટર્સની શોધખોળ માટે દોડધામ
મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ઓડિયો મેસેજ આવ્યો છે. આ ઓડિયો મેસેજમાં કહેવામાં આવ્યું છે કે દાઉદ ઇબ્રાહિમની ડી કંપનીના બે ઓપરેટિવ્સને પીએમ મોદીને મારવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ ધમકી ભર્યો ઓડિયો મેસેજ કોઈ અજાણ્યા વ્યક્તિએ મોકલ્યો છે. ધમકીના ઓડિયો મેસેજ મોકલનારે દાઉદ ઈબ્રાહીમના બે ગુંડાઓના નામ પણ આપ્યા છે, જેમને પીએમ મોદીની હત્યાની જવાબદારી સોંપવામાં આવી છે. તેમના નામ મુસ્તફા અહેમદ અને નવાઝ છે. પરંતુ ઓડિયો મેસેજ મોકલનારે તેનું નામ આપ્યું નથી. ઓડિયો ક્લીપ હિંદીમાં છે. પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાના આ સમાચાર બાદ મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમ સતર્ક થઈ ગઈ છે.
મુંબઈ પોલીસે ધમકીભર્યા ઓડિયો ક્લિપ્સ મોકલનાર શખ્સને શોધી કાઢ્યો
અત્યાર સુધીમાં પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી આપતી ઓડિયો ક્લિપમાં કુલ 7 મેસેજ મોકલવામાં આવ્યા છે. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચ સંદેશ મોકલનારને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહી છે. હીરાના વેપારીની પૂછપરછ કરવામાં આવી છે. આનું કારણ એ છે કે વોટ્સએપ મેસેજમાં એક ફોટો પણ મોકલવામાં આવ્યો છે. આ ફોટો સુપ્રાભત વેગ નામના વ્યક્તિનો હોવાનું જાણવા મળ્યું છે. આ વ્યક્તિ સંબંધિત હીરાના વેપારી સાથે કામ કરતો હતો. તેની શંકાસ્પદ પ્રવૃત્તિઓને કારણે તેને કામમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
26/11 જેવા હુમલાની પણ મળી ચૂકી છે ધમકી
મુંબઈ પોલીસને આવી ધમકીઓ સતત મળી રહી છે. થોડા દિવસ પહેલાં મુંબઈ પોલીસ કન્ટ્રોલ રૂમમાં વધુ એક ધમકીભર્યો ફોન આવ્યો હતો. પાકિસ્તાની નંબર પરથી આવેલા કોલમાં 26/11 જેવા હુમલા કરવાની ધમકી આપવામાં આવી હતી. વરલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આવા જ અન્ય એક કોલમાં મુંબઇના અંધેરીમાં ઇન્ફિનિટી મોલ, જુહુમાં પીવીઆર અને સાંતાક્રુઝની ફાઇવ સ્ટાર હોટેલ સહરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ કોલ મુંબઈ પોલીસની હેલ્પલાઈન નંબર 112 પર આવ્યો હતો.
મુંબઈમાં વધી ધમકીભર્યા ફોન કોલથી ઘટનાઓ
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં આવા ઘણા ધમકીભર્યા કોલ આવ્યાં હતા. આ પહેલા સાંતાક્રુઝમાં રહેતા એક વ્યક્તિને પણ ધમકીભર્યો ફોન આવ્યો હતો. તેણે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે, બોમ્બ બ્લાસ્ટ કરવો પડશે, ભારતમાં વિનાશ તો કરવો જ પડશે. આ પછી મુંબઈ પોલીસને એલર્ટ કરી દેવામાં આવી હતી. થોડા દિવસ પહેલા આવો જ એક ફોન આવ્યો હતો જેમાં મુકેશ અંબાણી અને તેમના પરિવાર અને તેમની હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પરંતુ બાદમાં આ ધમકીઓ ખોટી સાબિત થઈ હતી. પીએમ મોદીને પણ બેથી ત્રણ વાર જાનથી મારવાની ધમકી અપાઈ હતી.
દાઉદ ઇબ્રાહિમની ડી કંપનીના નામથી ખળભળાટ
આ વખતે મુંબઇ પોલીસને મળેલી ધમકીમાં દાઉદ ઇબ્રાહિમની ડી કંપનીનું નામ સામે આવ્યું છે. ડી કંપનીના બે હેંચમેનને આ કામગીરી સોંપવામાં આવી હોવાનું જણાવ્યું છે. મુંબઈ પોલીસ ખૂબ જ સતર્ક થઈ ગઈ છે. છેલ્લા કેટલાય વર્ષોથી મુંબઈ અંડરવર્લ્ડ બહુ સક્રિય નથી. આવી સ્થિતિમાં પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું અંડરવર્લ્ડ ફરીથી સક્રિય થયું છે કે નહીં.