ઉત્તરાખંડનાં કેટલાંય રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળી છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એરિયા કમાન્ડરનાં નામે એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો.
ધાર્મિક સ્થળોને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી
આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ
સલીમ અન્સારીના નામથી લખેલો ધમકીભર્યો પત્ર મળ્યો
જૈશ-એ-મોહમ્મદના કમાન્ડરના નામે પત્ર
ઉત્તરાખંડનાં કેટલાંય રેલવે સ્ટેશનો અને ધાર્મિક સ્થળોને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી મળી છે. રુરકી રેલવે સ્ટેશનના અધીક્ષકને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એરિયા કમાન્ડર સલીમ અન્સારીના નામથી લખેલો એક ધમકીભર્યો પત્ર મળ્યો છે, જેમાં હરિદ્વાર ઉપરાંત લખસર, નજીબાબાદ, દહેરાદૂન, રુરકી, ઋિષકેશ સહિત છ રેલવે સ્ટેશનો અને કેટલાંક ધાર્મિક સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.
પુષ્કરસિંહ ધામીને પણ ફૂંકી મારવાની ધમકી
અધકચરી હિન્દી ભાષામાં લખવામાં આવેલા આ પત્રમાં ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીને પણ ફૂંકી મારવાની ધમકી આપવામાં આવી છે. આ પત્ર મળવાથી હરિદ્વારથી લઈને નજીબાબાદ સુધી ખળભળાટ મચી ગયો છે. પોલીસે પત્ર મોકલનારની તપાસ શરૂ કરી દીધી છે, સાથે જ ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશનાં રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવીને સતર્કતા વધારી દેવામાં આવી છે.
પત્ર મોકલનાર માનસિક રીતે બીમાર?
આ પત્રમાં હરિદ્વારમાં મંશાદેવી, ચંડીદેવી સહિત કેટલાંક ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી છે. આ સમગ્ર મામલાની તપાસમાં સામે આવેલી હકીકતોની જાણકારી રાજ્યના ડીજીપી અશોકકુમારે ખુદ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે પત્ર મોકલનાર માનસિક રીતે બીમાર છે, જે છેલ્લાં ૨૦ વર્ષથી આ પ્રકારની ધમકી આપી રહ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં પણ આ રીતે મળેલા ધમકીભર્યા પત્રોના હસ્તાક્ષર મેચ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં ઉત્તરાખંડ પોલીસે આ પત્રને ગંભીરતાથી લઈને સમગ્ર રાજ્યમાં સતર્કતા વધારી દીધી છે.
આ અગાઉ રુરકી રેલવે સ્ટેશનના અધીક્ષકને એપ્રિલ-૨૦૧૯માં પણ આ પ્રકારની ધમકી આપતો એક પત્ર મળ્યો હતો.