ભારતમાં એક તરફ કોરોના વાયરસનો સૌથી મોટો તાંડવ જોવા મળી રહ્યો છે અને બીજી તરફ ભાજપ હજુ આજે પણ પ્રચારોમાં વ્યસ્ત છે.
એક તરફ કોરોનાનો હાહાકાર અને બીજી તરફ ભાજપ ભીડ ભેગી કરે
વારંગલમાં કૉર્પોરેશન ચૂંટણી માટે ગૃહરાજ્યમંત્રીએ પણ ભીડ ભેગી કરી
ભાજપ નેતાઓમાં શરમ જેવુ કશું બચ્યું નથી?
શું પ્રધાનમંત્રી મોદીની સૂચનાઓને પણ ભાજપ ગાંઠતું નથી?
ભાજપ છે કે માનતી જ નથી, હજુ આજની તારીખમાં પણ પ્રચાર ચાલુ
ભારતમાં કોરોના વાયરસના કારણે લોકો મરી રહ્યા છે, હોસ્પિટલોમાં ઑક્સીજન નથી મળી રહી. મોટા મોટા શહેરોમાં ભારતમાં દર્દીઓ સારવાર વિના જ મોતને ભેટી રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી આટલી મોત છતાં પણ હજુ ચૂંટણીઓમાં જ મશગૂલ છે. એક તરફ દેશમાં વધતાં કેસના કારણે આખી દુનિયામાં ચિંતા વધી ગઈ છે. લોકોમાં ભયંકર રોષ છે કે જ્યારે કેસ વધી રહ્યા હતા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બંગાળમાં પ્રચાર કરી રહ્યા હતા. આખા દેશમાં સરકાર સામે ભયંકર રોષ છે છતાં ભાજપ પ્રચારમાંથી ઊંચી નથી આવતી અને ભયંકર ભીડ પણ ભેગી કરે છે.
ભાજપને શરમ કે માનવતા જેવુ કઈં છે કે નહીં? PM મોદીના સૂચનો પણ નહીં માનવાના?
તેલંગાણાના વારંગલમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે ધૂમ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સેંકડોની સંખ્યામાં લોકો સામેલ થઈ રહ્યા છે અને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સની ધજીજીયા ઉડાવવામાં આવી રહી છે. વારંગલમાં કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકમાં 653 કેસ સામે આવ્યા છે ત્યારે શું આ નેતાઑને કોરોના વાયરસની ગંભીરતા હજુ સમજાતી નથી? એક તરફ લાશોના અંતિમ સંસ્કાર માટે પણ જગ્યા નથી મળી રહી અને બીજી તરફ ભાજપને સત્તા માટે પ્રચાર સૂજે છે?
ગૃહરાજ્યમંત્રી પોતે ભીડ ભેગી કરી રહ્યા છે
મોદી સરકાર કોરોના સામે કેટલી ગંભીર છે એ સમજવું હોય તો આ દ્રશ્ય જુઓ, દેશના ગૃહરાજ્યમંત્રી, જે ગૃહમંત્રી અમિત શાહ હેઠળ કામ કરે છે તે જી કિશન રેડ્ડી પોતે ભયંકર ભીડ ભેગી કરીને પ્રચાર કરી રહ્યા છે.
દેશની જુદી જુદી કોર્ટના સૂચનો પણ નહીં માનવાના?
નોંધનીય છે કે દેશભરની જુદી જુદી હાઇકોર્ટ કોરોના વાયરસની આ બીજી લહેરમાં જાગી છે. જુદી જુદી હાઇકોર્ટ સરકારોને તતડાવી રહી છે અને મદ્રાસ હાઇકોર્ટે તો ત્યાં સુધી કહ્યું કે ચૂંટણી કરવાના કારણે ચૂંટણી પંચના અધિકારીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ. દેશની કોર્ટ અને જનતા કહી કહીને થાકી ગઈ અને ભાજપને હજુ પણ આ કોરોના વાયરસના તાંડવ વચ્ચે પ્રચાર સૂજી રહ્યો છે. હદ તો ત્યાં થાય છે કે પ્રચાર કર્યા બાદ ભાજપ નેતાઑ તેની તસવીરો સોશ્યલ મીડિયામાં મૂકે છે અને ગર્વ લે છે.
નોંધનીય છે કે સોશ્યલ મીડિયામાં ભાજપ નેતાઓની આ તસવીરો વાયરલ થયા બાદ તેલંગાણા ભાજપના આધિકારિક ટ્વિટર હેન્ડલથી અમુક ટ્વિટ ડિલીટ પણ કરવામાં આવ્યા હતા જોકે તેલુગુ ભાષામાં જે ટ્વિટ કરવામાં આવ્યા છે તે હજુ પણ છે.