અમદાવાદઃ ભરતીમેળામાં ઉમટતાં યુવાઓની ભીડ જ બેરોજગારીનો આંક કાઢવાનો માપદંડ માની લેવાય તો? કેમ કે વિકાસની હરણફાળ વચ્ચે રાજ્યમાં બેરોજગારી કેટલી છે. તેનો ચિતાર સરકારી ભરતીમાં ઉમેદવારી નોંધાવતા ઉમેદવારોની ભીડ પરથી લગાવી શકાય છે. સરકાર બેરોજગારો માટે ભરતી બહાર પાડીને રોજગારી આપવાની તક આપે છે. પરંતુ એક એક જગ્યા માટે હજાર હજાર ઉમેદવારને જોઈને લાગે છે કે બેરોજગારી નજીકના ભવિષ્યમાં ઘટે તેમ નથી. આથી જો તો કેટલાક ડિગ્રીધારી યુવાનોએ ડિગ્રીને કોરાણે મૂકી કામ અપનાવી જ લીધું છે. એ કામ છે ગાંધીજીને ખૂબ ગમતું સફાઈનું કામ...
રાજ્યમાં યુવાઓની દિશા અને દશાને આ દ્રશ્યો રજૂ કરી રહ્યા છે. પહેલા દ્રશ્યમાં આપ જુઓ છો તેમ એક સરકારી જગ્યા માટે હજારો યુવાઓમાં ઉમ્મીદ જાગે છે. અને ઉમેદવાર બની લાઈનમાં ગોઠવાઈ જાય છે. ધોરણ સાત પાસની લાયકાત વાળી નોકરી માટે પીએચ.ડી અને એમબીએ ડિગ્રી ધારકો નસીબ અજમાવી લે છે. પરંતુ આ દ્રશ્યની લગોલગ ચાલતું હવે આ બીજુ દ્રશ્ય જુઓ અહીં હાથમાં ઝાડું લઈને યુવાનો કચરા કરતાં જાણે બેકારીને જ સાફ કરવા ઉમટી પડ્યા છે. કેમ કે કોઈ બીજી નોકરી ન હોય તો આ નોકરી શું ખોટી છે. એવું નિખાલસતા પૂર્વક ડિગ્રીધારી યુવાનો સ્વીકારતા થયા છે. જો કે તેમ છતાં ડિગ્રીધારી અને હોનહાર વિદ્યાર્થીઓની આ હાલત કોણે કરી? અને કેવી રીતે થઈ તે સવાલનો જવાબ મળવો અઘરો છે.
ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટમાં કરોડો રૃપિયાના એમઓયુ થાય છે. અબજો રૂપિયાનું રોકાણ થયાના અહેવાલો પ્રગટ કરાય છે. ગુજરાતીઓ રોજગારી દાતા બન્યા છે રોજગાર માગનાર નહીં તેવા દાવા કરવામાં આવે છે. ત્યારે એકએક જગ્યા માટે તૂટી પડતાં હજારો બેરોજગારોની લાઈનો માંથી અવાજ ઉઠે છે. ક્યાં ગયા એ રોકાણકારો?. ક્યાં ગયા એ લાલ જામજ પર ચાલનારઓ?. ક્યાં ગયા એ રોજગારી આપ્યાની ગુલબાંગો ઠોકનારાઓ? ચૂંટણી ઢંઢેરામાં યુવાનોને રોજગારી આપવાની વાતો થાય છે. પણ વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં લાખો યુવાનો બેરોજગાર બન્યા છે. ગુજરાતમાં બેરોજગારી એટલી હદે વધી છે કે શિક્ષિત યુવાનો અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર યુવાનો સફાઇ કામ કરવા માટે મજબૂર બન્યા છે.
હાથમાં ઝાડું સાથે રોડ સફાઈ કરનાર આ યુવાઓની ફોજ જુઓ. આમા કોઈ ગ્રેજ્યુએટ છે તો કોઈ ડબલગ્રેજ્યુએટ કોઈએ એન્જીનિયરીંગ પૂરું કર્યુ છે તો કોઈએ ડિપ્લોમાં કર્યુ છે. પરંતુ મહેનત કરવા છતાં લાયકાત મુજબની નોકરી ન મળતા તેઓ સફાઇ કામ અને છૂટક મજૂરી કરવા માટે મજબૂર બન્યા છે. એ વાત જાણીને તમને નવાઈ નહીં આંચકો લાગશે કે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં હંગામી ધોરણે સફાઇકામ કરતા 3 હજાર જેટલા યુવાનો સ્નાતક થયેલા છે.
સરકારી ભરતીમાં થતી ગેરરીતિ અને પેપરલીક જેવી ઘટનાને લીધે મહેનતુ યુવાનોને નિરાશા સાંપડે છે. કેટલાંક એવા પણ યુવાનો છે જે છેલ્લા 6 વર્ષથી સરકારી નોકરી માટે તૈયારી કરે છે અને હજુ સુધી નોકરી મળી નથી. આ યુવાનએ હવે સરકારી નોકરીની આશા રહી નથી. જેથી તેમને પરીવારનું ગુજરાન ચલાવવા માટે સફાઇ કામગીરી સ્વીકારી લેવી પડી છે. સફાઈ કામમાં વેતન નજીવું મળે છે. પરંતુ બેકારીના ઘાવને શમાવવા માટે તે ઈલાજનું કામ કરે છે. કેમકે સામાજિક જવાબદારી મોં ફાડીને ઊભી છે. નેતાઓ રોજગાર બાબતે મોં સીવીને ઊભા છે. એટલો જ તો હાથમાં ઝાડું આ મજબૂરીના દિવસોમાં એકમાત્ર તેમનો સધિયારો છે.