Ahmedabad News: અમદાવાદમાં એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા લોકો માટે સારા સમાચાર, એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારાને 15% સુધીનું અપાશે રિબેટ
પ્રોપર્ટી ટેક્સ ભરનારા લોકો માટે સારા સમાચાર
એડવાન્સ ટેક્સ ભરનારાને થશે ફાયદો
AMC 15% સુધીનું રિબેટ આપશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાણાકીય વર્ષ 2023-24 માટે એડવાન્સ રિબેટ સ્કીમ જાહેર કરવામાં આવી છે. જે મુજબ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરનારા કરદાતાઓને 15 ટકા સુધીનું રિબેટ અપાશે. જેમાં સૌથી વધુ રાહત ઓનલાઇન એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાઓને થશે. મહત્વનું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સ નિયમિતપણે, સમયસર ભરતા નાગરિકોને પ્રોત્સાહન આપવા આ રિબેટ યોજના જાહેર કરાઇ છે.
18 એપ્રિલથી 17 મે સુધી સ્કીમ અમલમાં મુકાશે
કરદાતાઓ માટે આગામી 18 અપ્રિલથી 17 મે સુધી રીબેટ સ્કીમ અમલમાં મુકાશે. જો કોઈ 2023-24નો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં ઉપરોક્ત તારીખ સુધીમાં ભરે છે તો તેમને 2023-24ના જનરલ ટેક્સ, વોટર ટેક્સ અને કોન્ઝરવન્સી ટેક્સની રકમ પર રાહત અપાશે. આ અંગે AMCના રેવન્યુ કમિટીના ચેરમેને જૈનિક વકીલ વિગતવાર માહિતી આપી છે.
કરદાતાઓને મળશે મહત્તમ રિબેટ
તેમણે જણાવ્યું કે, નિયમિત રીતે પ્રોપર્ટી ટેક્સ ભરપાઈ કરતા કરદાતાઓ ઉપરાંત ઓનલાઈન ટેક્સ ભરતા કરદાતાઓને પ્રોત્સાહીત કરવા એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓ માટે 18 એપ્રિલથી રીબેટ સ્કીમ અમલમાં મુકાશે. આ અંતર્ગત વર્ષ 2023-24 માટેનો એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓને 12 ટકા રીબેટ અપાશે. જો કોઈ ઓનલાઈન ટેક્સ ભરે છે, તો તેમને વધુ એક ટકો એટલે કે કુલ મળીને 13 ટકા રિબેટ અપાશે.
400 કરોડના આવકનો અંદાજ
જૈનિક વકીલે જણાવ્યું કે, વર્ષ 2023-24 પહેલા સળંગ ત્રણ વર્ષ એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાઓને 12 ટકા રિબેટ અપાશે. જો કોઈ ઓનલાઈન ટેક્સ ભરપાઈ કરે છે તો વધુ એક ટકા રિબેટ અપાશે. આ ઉપરાંત સળંગ ત્રણ વર્ષથી એડવાન્સ ટેક્સ ભરપાઈ કરતા કરદાતાઓને પ્રોત્સાહીત કરવા વધુ બે ટકા એમ કુલ મળીને 15 ટકા રિબેટ અપાશે. એડવાન્સ ટેક્સ સ્કીમ થકી એએમસીને ચાલુ નાણાંકીય વર્ષમાં 400 કરોડના આવકનો અંદાજ છે.