મોંઘવારીને કારણે મોટા ભાગના હેરાન પરેશાન છે. ત્યારે આ વર્ષે વધુમાં ગણેશજીની પ્રતિમાના ભાવ પણ વધી ગયા છે. જેના કારણે ભક્તોમાં નારાજગી જોવા મળી છે.
આ વર્ષે ગણેશજીને પણ મોંઘાવરી નડી
મૂર્તિઓના ભાવમાં ધરખમ વધારો
ભાવ વધારાને કારણે ભક્તોમાં નારજગી
શહેરીજનોના માનીતા પર્વ ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી હોઈને ભક્તોએ પર્વની રંગારંગ ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ ગણેશ ભક્તો શ્રીજીની પ્રતિમાના ભાવ સાંભળીને વિમાસણમાં મુકાઈ રહ્યા છે. કારણ કે આ વર્ષે વિઘ્નહર્તા શ્રીજીને પણ મોંઘવારી નડી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના નિયંત્રણ હળવાં થતાંની સાથે જ ભક્તોનો ઉત્સાહ વધી ગયો પરંતુ શ્રીજીની પ્રતિમાના ભાવ સાંભળીને ભક્તોના હોશ ઊડી રહ્યા છે.
ભક્તોમાં નારજગી
શ્રદ્ધાળુઓની આસ્થા અને છેલ્લી ઘડીની ભાગદોડનો લાભ લઈ હાલમાં શ્રીજી પ્રતિમાઓના મન ફાવે તેમ ભાવ વસૂલાઇ રહ્યા છે તેવી ભક્તો ફરિયાદ કરી રહ્યા છે. ભક્તોમાં પ્રતિમાના ભાવ વધારાને લઈને નારાજગી વ્યાપી ગઈ છે. શહેરમાં દર વર્ષે મહારાષ્ટ્ર, બંગાળ સહિતના અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં મૂર્તિકારો આવે છે. એક સમયે પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓનાં ચલણ સામે લોકજાગૃતિને પગલે છેલ્લાં ચાર વર્ષથી માટીની પ્રતિમાની ડિમાન્ડમાં વધારો થયો છે. તેમાં પણ ગત વર્ષે માત્ર બે ફૂટની માટીની પ્રતિમાઓની સ્થાપનાનાં જ ફરમાનને કારણે ગણેશોત્સવ પર્વની રોનક ઝાંખી પડી હતી.
દરેક મૂર્તિનો અલગ અલગ ભાવ
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કોરોના નિયંત્રણો હળવાં થતાં પર્વની રંગારંગ ઉજવણી માટે ભક્તો હરખઘેલા થયા છે. મૂર્તિકારોના મંડપમાં પ્રતિમાના ભાવ સાંભળી ભક્તોની ચિંતા વધી ગઈ છે. ભક્તોની ફરિયાદ મુજબ, હાલની ઘડીએ એક ફૂટની શ્રીજી પ્રતિમાનો ભાવ ૧,૦૦૦થી ૧,૨૦૦ રૂપિયા વસૂલાઇ રહ્યો છે. નાનામાં નાની પ્રતિમાની કિંમત ૧,૦૦૦ રૂપિયાથી શરૂ થઇ રહી છે. તેમાં કોઇ માપદંડ જ નથી. બે ફૂટની પ્રતિમા ૨,૫૦૦થી ૩,૫૦૦, ત્રણ ફૂટની પ્રતિમા ૪,૦૦૦થી ૬,૦૦૦ અને ચાર ફૂટની પ્રતિમાનો અધધધ ૬,૦૦૦થી ૮,૦૦૦નો ભાવ બોલાઇ રહ્યો છે. એક જ કદની બે પ્રતિમાના ભાવમાં પણ આસમાન-જમીનનો ફરક છે.
મૂર્તીકારો આપી રહ્યા છે આખરી ઓપ
સરકાર દ્વારા ગણેશજીની પ્રતિમા અંગે ઘરમાં સ્થાપિત કરવા માટે વધુમાં વધુ બે ફૂટ અને જાહેર જગ્યામાં સ્થાપિત કરવા માટે વધુમાં વધુ ચાર ફૂટનું માપ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મૂર્તિકારોએ ગણેશજીની પ્રતિમા બનાવવાની પ્રક્રિયાને આખરી ઓપ આપી દીધો છે.
કોરોનાને કારણે ઉત્સવ શાંત પડી ગયો હતો
આ વર્ષે મૂર્તિકારો વધુ મૂર્તિઓ બનાવી શક્યા નથી પરંતુ તેઓએ ઓછા સમયગાળામાં તૈયાર કરેલ ગણેશજીની પ્રતિમાને રંગરોગાન, અલંકારો સજાવટ વગેરેને લઈને મૂર્તિઓમાં ભાવ વધારો પણ કર્યો છે. છેલ્લાં વર્ષની વેઠવી પડેલી નુકસાનીથી કારીગરો ભાવ વધારો કરવા અંગે મજબૂર બન્યા છે. મૂર્તિકાર ડાહ્યાભાઇ મારવાડીએ જણાવ્યું હતું કે, છેલ્લાં દોઢ બે વર્ષથી કોરોનાને કારણે ઉત્સવ બંધ રહ્યા હોવાથી અમારી આવકનો સ્ત્રોત ખોરવાઈ ગયો હતો ત્યારે આ વર્ષે સરકારે જાહેર કરેલા નીતિ-નિયમો મુજબની મૂર્તિ બનાવી તેનું વેચાણ કરીશું અને પરિવારનું ગુજરાન ચલાવીશું.
શણગાર પરથી નક્કી થાય છે કિંમત
આ વર્ષે માટી, પ્રાકૃતિક રંગ સહિતના કાચા માલમાં ૩૦થી ૪૦ ટકાનો ભાવ વધારો થયો છે. ખાસ માટીમાંથી બનાવાતી મૂર્તિઓની વિશેષતા એ છે કે તેનું વિસર્જન ભક્તો તેમના ઘરે જ કુંડામાં પણ કરી શકે છે અને તેમાં છોડ પણ રોપી શકાય છે અને પ્રકૃતિનું જતન થાય છે હાલમાં ૬ ઇંચની માટીની પ્રતિમા રૂ. ૫૦૦માં, ૯ ઇંચની પ્રતિમા રૂ. ૬૦૦થી ૭૦૦માં અને ૧૪ ઇંચની માટીની પ્રતિમા રૂ. ૯૦૦ના ભાવે વેચાઈ રહી છે. પ્રતિમાના શણગાર ઉપરથી પણ તેની કિંમત નક્કી થાય છે