ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં ત્રણ અમ્પાયરની પસંદગી કરવામાં આવી છે જેમાંથી બે અમ્પાયર આ સિરીઝથી ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરશે જેઓ આઈસીસી અમીરાત પેનલનાં સભ્ય છે.
ત્રણેય અમ્પાયર આઈપીએલમાં નિયમિતરીતે અમ્પાયરિંગ કરી ચૂક્યા છે
ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદનાં મોટેરામાં રમાશે
પિન્ક બોલ ટેસ્ટમાં અમ્પાયરિંગ મહત્ત્વનું રહેશે
કોરોનાને લીધે બધી મેચમાં ઘરેલુ ટીમનાં મેચ અધિકારીને મંજૂરી
આઇસીસી પેનલમાં સામેલ ભારતના ત્રણ અમ્પાયર ઈંગ્લેન્ડ સામે આગામી મહિને શરૂ થનારી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં અમ્પાયરિંગ કરશે. વીરેન્દ્ર શર્મા અને અનિલ ચૌધરીનું ટેસ્ટ ફોર્મેટમાં મેદાન પર આ ડેબ્યૂ હશે. ચૌધરી અને શર્મા આઇસીસી અમીરાત પેનલના સભ્ય છે. આ સાથે એલિટ પેનલમાં ભારતના પ્રતિનિધિ નીતિન મેનન પણ સામેલ થશે, જેઓ ટેસ્ટ મેચમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. કોરોના મહામારીને કારણે આઇસીસીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બધી મેચ માટે ઘરેલુ ટીમના જ મેચ અધિકારીઓને મંજૂરી આપી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ તા. ૫ ફેબ્રુઆરીથી ચેન્નઈમાં થઈ રહ્યો છે.
સૌથી યુવા અમ્પાયર વન-ડે અને ટી-20માં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે
નીતિન મેનન ભારતના સૌથી યુવા અમ્પાયરોમાંના છે, જ્યારે શર્મા બે વન ડે અને એક ટી-૨૦ મેચમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. ચૌધરી ૨૦ વન ડે અને ૨૮ ટી-૨૦ મેચમાં મેદાન પર અમ્પાયરિંગ કરી ચૂક્યા છે. મેનને ત્રણ ટેસ્ટ, ૨૪ વન ડે અને ૧૬ ટી-૨૦ મેચમાં અમ્પાયરિંગ કર્યું છે. આ ત્રણેય આઇપીએલમાં નિયમિત રીતે અમ્પાયરિંગ કરતા રહ્યા છે.
મોટેરામાં બે ટેસ્ટ મેચ
જવાગલ શ્રીનાથ શરૂઆતની બંને ટેસ્ટમાં મેચ રેફરીની ફરજ નિભાવશે. આઇસીસીએ હજુ ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે મેચ ઓફિશિયલ્સની જાહેરાત કરી નથી. આ બંને ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવાની છે. એમાં પણ ૨૪ ફેબ્રુઆરીથી શરૂ થતી ત્રીજી ટેસ્ટ ડે-નાઇટ હશે, જ્યારે ચોથી ટેસ્ટ તા. ૪ માર્ચથી શરૂ થશે.
ત્રીજી ટેસ્ટ મેચ પિન્ક બોલ ટેસ્ટ હશે
ત્રીજી ટેસ્ટ મેચ માટે શક્યતા છે કે આઇસીસી ઓછામાં ઓછા એક તટસ્થ અમ્પાયરની નિમણૂક કરે. નીતિન મેનન ભલે આઇસીસીની એલિટ પેનલમાં સામેલ હોય, પરંતુ તેમની પાસે પિન્ક બોલ ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અમ્પાયરિંગ કરવાનો અનુભવ નથી. જોકે તેમણે પિન્ક બોલ ફર્સ્ટ ક્લાસ મેચાં અમ્પાયરિંગ જરૂર કર્યું છે.
અમ્પાયરની નીતિને કામચલાઉ રીતે બદલવામાં આવી
સામાન્ય રીતે દ્વિપક્ષી શ્રેણી માટે તટસ્થ એમ્પાયરને પ્રાથમિકતા આપવામાં આવે છે, પરંતુ કોરોના મહામારી અને પ્રતિબંધિત મુસાફરી સુવિધાઓની સ્થિતિને કારણે અમ્પાયરની નીતિને કામચલાઉ રીતે બદલવામાં આવી છે. બાંગ્લાદેશ અને વિન્ડીઝમાં અમ્પાયરની અછતના કારણો બીજા દેશના અમ્પાયર આવ્યા હતા.