ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે શ્રાવણ મહિનામાં વિવિધ પ્રકારની પૂજા અર્ચના કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રનો આધાર સૌરમંડળ અને તેના નવગ્રહ છે જે સમગ્ર સૃષ્ટિ અને માનવજીવનનું સંચાલન કરે છે અને તેનું ભવિષ્ય પણ તે નક્કી કરે છે.
એટલા માટે જ શ્રાવણ મહિનામાં વિવિધ ગ્રહોને શાંત કરવાના તેમજ પ્રસન્ન કરી મન-ધનની શાંતિ મેળવવા માટેના ઉપાયો કરવામાં આવે છે. ભગવાન ભોળાનાથ શિવજીને પ્રસન્ન કરવા માટે હિન્દુ ધર્મશાસ્ત્રોમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ છે.
- જે વ્યક્તિની કુંડળીમાં મંગળ ગ્રહ બરાબર ન હોય મંગળથી નુકસાન થતું હોય તો તેમણે શિવજીની પૂજા ગડુચીના રસથી કરવી જોઈએ. એ ઉપરાંત ગોળનું પાણી પણ અર્પણ કરવું જોઈએ. બાદમાં શિવજીને લાલ રંગનું પુષ્પ ચડાવવું જોઈએ .
- ચંદ્ર ગ્રહને લગતા અવરોધો દૂર કરવા માટે અથવા ચંદ્રની કૃપા પામવાને માટે શિવજી પર દૂધનો અભિષેક કરવો જોઈએ. શિવજી પર સફેદ ફૂલ ચડાવવું જોઈએ.
- જે તે વ્યક્તિની જન્મકુંડળીમાં જે ગ્રહ નબળો હોય અથવા નુકસાન કરે એવો હોય તો તેના સંદર્ભે શ્રાવણ મહિનામાં શિવજીની અલગ રીતે પૂજા કરવાથી જરૂર રાહત મળતી હોય છે.
- જે વ્યક્તિની જન્મકુંડળીમાં સૂર્ય નબળો હોય એટલે કે તેની સ્થિતિ સારી ન હોય પાપગ્રહ સાથે પડેલો હોય અથવા તો કોઈ ખાડાના સ્થાનમાં કે પ્રતિકૂળ રાશિમાં હોય તો સૂર્યની કૃપા મેળવવા માટે શિવજીને શ્રાવણ મહિનામાં બિલિપત્ર અર્પણ કરવાં જોઈએ. એ સાથે આકડાનાં પુષ્પ પણ શિવજીને અર્પણ કરવા જોઈએ
- બુધ ગ્રહને લગતા દોષ દૂર કરવા માટે વિદ્યાપરાના રસથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. બાદમાં ચોખ્ખા પાણીથી શિવલિંગને સાફ કરીને બિલિપત્ર ચડાવવાં જોઈએ.
- ગુરુના ગ્રહની વધુ સારી કૃપા પ્રાપ્ત કરવા માટે તેમજ ગુરુને મજબુત કરવા માટે શ્રાવણ મહિનામાં હળદરવાળા દૂધથી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. બાદમાં શિવજીને પીળા રંગનાં ફૂલ ચડાવવાં જોઈએ.
- શનિદેવના પ્રકોપથી બચવા માટે શ્રાવણ મહિનામાં શિવલિંગની પૂજા શેરડીના રસથી કરવી જોઈએ. બાદમાં ચોખ્ખા પાણી વડે અભિષેક કરીને શિવજી પર ભૂરા રંગનું પુષ્પ અર્પણ કરવું જોઈએ.
- જીવનમાં જો રાહુ અને કેતુ ગ્રહ ઉત્પાત મચાવતા હોય તો આ બે ગ્રહોને કારણે જીવનમાં આવતી અથવા શરૂ થયેલી તકલીફોને દૂર કરવા માટે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર ભાંગ ઓગાળેલા પાણી વડે અભિષેક કરવો જોઈએ. બાદમાં ધંતુરાનું ફૂલ શિવલિંગ પર ચડાવવું જોઈએ.
- જે વ્યક્તિઓને શ્રાવણ મહિનામાં આર્થિક ફાયદો મેળવવાની ઈચ્છા કે જરૂરિયાત હોય તેમણે શિવલિંગ પર મધનો અભિષેક કરવો જોઈએ.
- તમારા વિરોધીઓનો ઉપદ્રવ વધી ગયો હોય તો તેમને કાબૂમાં લેવા માટે શ્રાવણ મહિનામાં સરસવના તેલ વડે શિવજીને અભિષેક કરવો જોઈએ શિવલિંગ પર સરસવના તેલનું લેપન પણ કરી શકાય.
- આર્થિક સમસ્યા ઉપરાંત અન્ય સામાજિક કે બીજી કોઇ તકલીફોથી છુટકારો મેળવવા માટે ગાયના દૂધમાંથી બનેલી છાશ વડે શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ.
- જીવનમાં તમામ પ્રકારની સુખ સમૃદ્ધિ મેળવવા માટે શ્રાવણ મહિનામાં તમામ દિવસ શિવલિંગની અભિષેક સાથે પૂજા કરવી જોઇએ અને તેમાં પણ ગાયના દૂધ વડે કરેલો અભિષેક સૌથી વધુ ફળદાયી નીવડતો હોય છે
- ઉંમર વધી ગઈ હોય અને લગ્ન થતાં ન હોય તો બિલિનાં ફૂલ શ્રાવણ મહિના દરમિયાન દર સોમવારે શિવજીને ચડાવવાં જોઈએ. યુવક કે યુવતી જેનું નહીં ગોઠવાતું હોય તે જલદીથી ગોઠવાઈ જશે.
- પુત્રપ્રાપ્તિ માટે લાલ રંગના ધંતુરાનું ફૂલ શિવજીને શ્રાવણના સોમવારે ચડાવવું જોઈએ. જો લાલ રંગના ધંતુરાનું ફૂલ મળી શકે તેમ ન હોય તો સામાન્ય રીતે મળતા સફેદ રંગના ધતુરાનું ફૂલ શિવલિંગ પર ચડાવવું જોઈએ.
- જીવનમાં ઐશ્વર્ય પ્રાપ્ત કરવા માટે શ્રાવણ મહિનામાં શેરડીના રસ વડે શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ.
- તમારા કુટુંબમાં શાંતિ સ્થપાય અને એક પ્રકારનો સંવાદિતાપૂર્ણ વાતાવરણ જળવાય તે માટે કોઈ તીર્થસ્થાનેથી લાવેલા પાણી વડે શિવલિંગનો અભિષેક કરવો જોઈએ.
આ તમામ ઉપાય કરવાથી શિવજીની કૃપા તમારા પર બની રહેશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે. આ ઉપરાંત શ્રાવણ માસમાં ઉપવાસ કરવાથી પણ અસુરી શક્તિઓનો નાસ થાય છે.