હિન્દુ ધર્મમાં એવા ઘણાદેવી-દેવતાઓના મંદિર છે તે પોતાની વિશેષતાઓના કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. મંદિરોમાં ભક્ત ભગવાનની પ્રાર્થના કરીને માનતા માગે છે. અને માનતા પુરી થયા બાદ ભગવાનનો આભાર માને છે. ભગવાનના દર્શન કરવા આવેલા ભક્તોને ભગવાનનો પ્રસાદ પણ આપવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય એવા મંદિર વિશે સાંભળ્યું છે જ્યાં ભક્તોને પ્રસાદ તરીકે સોના-ચાંદીના ઘરેણાંઓ આપવામાં આવે.
મધ્ય પ્રદેશના રતલામમાં મહાલક્ષ્મી મંદિર આવ્યું છે. જ્યાં પ્રસાદ તરીકે આભૂષણો આપવામાં આવે છે. મંદિરમાં દિવાળી સમયે કુબેરનો દરબાર ભરાય છે. આ દિવસોમાં ભક્તોને પ્રસાદ તરીકે સોના અને ચાંદીના આભૂષણો સાથે રોકડ રકમ પણ અપાય છે. આ મંદિરમાં સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. જોકે પ્રસાદ રૂપે મળતા આ સોનાનો ઉપયોગ ઘરેણાં તરીકે નહીં પરંતુ તેને આશીર્વાદ રૂપે તિજોરીમાં રાખવામાં આવે છે.
દર્શન કરવા આવેલા ભક્તો પોતાની શ્રદ્ધા અનુસાર સોના-ચાંદી અને પૈસાનું દાન કરે છે. ખાસ કરીને ધનતેરસ અને દિવાળીના દિવસે ભક્તો દ્વારા ખૂબ સોનું ચઢાવવામાં આવે છે અને તેનાથી મહાલક્ષ્મીનું શૃંગાર કરાય છે. આ પ્રાચીન મંદિરમાં વર્ષોથી સોનું ચઢાવવાની પરંપરા છે. ભેટમાં ચઢાવાયેલી રકમ અને ઘરેણાંઓનો હિસાબ રાખવામાં આવે છે. સુરક્ષાની દ્રષ્ટિએ મંદિરમાં CCTV કેમેરા સાથે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત હોય છે.
મહાલક્ષ્મીનું આ મંદિર ખૂબ જ પ્રસિદ્ધ છે અને અહીં આવનારો ભક્ત ક્યારેય ખાલી હાથે પાછો નથી જતો. લોકોનો વિશ્વાસ છે કે અહીં આવવાથી બધી ઈચ્છાઓ પુરી થશે. અહીંથી પ્રસાદ તરીકે મળેલા સોના-ચાંદી અને રોકડને લોકો હંમેશા સંભાળીને રાખે છે. લોકોનો વિશ્વાસ છે કે આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.