જ્યોતિ રેઝિન્સ એન્ડ એડહેસિવ્સે તેના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું
એક વર્ષમાં કંપનીના શેરે તેના રોકાણકારોની મૂડીમાં પાંચ ગણો વધારો કર્યો
સ્પેશિયાલિટી કેમિકલ સેક્ટરની કંપની જ્યોતિ રેઝિન્સ એન્ડ એડહેસિવ્સે તેના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં આ કંપનીના શેરે તેના રોકાણકારોની મૂડીમાં પાંચ ગણો વધારો કર્યો છે. મંગળવારે ટ્રેડિંગના અંતે શેર બીએસઈ પર રૂ. 1249 પર બંધ થયો હતો. જોકે છેલ્લા પાંચ દિવસમાં તેના શેરમાં 1.42 ટકાનો ઘટાડો થયો છે. તો છેલ્લા એક મહિનામાં જ્યોતિ રેઝિન અને એડહેસિવ્સના સ્ટોકમાં 5.99 ટકાનો ઘટાડો થયો છે.
મહત્વનું છે કે, જ્યોતિ રેઝિન્સનો શેર 30 માર્ચ, 2015ના રોજ રૂ.3.40 પર હતો. ત્યારથી અત્યાર સુધીમાં આ સ્ટોક લગભગ 365 ગણો વધ્યો છે. જ્યોતિ રેઝિન્સનો શેર હવે રૂ. 1250ને પાર કરી ગયો છે. જો કોઈ વ્યક્તિએ માર્ચ 2015માં આ સ્ટોકમાં આશરે રૂ. 28,000નું રોકાણ કર્યું હોય અને તેને અત્યાર સુધી પકડી રાખ્યું હોય તો તેના રોકાણની રકમ રૂ. એક કરોડમાં ફેરવાઈ ગઈ હોત. આ સ્ટૉકની ખાસ વાત એ છે કે, તેણે લાંબા ગાળામાં નહીં, પરંતુ ટૂંકા ગાળામાં જબરદસ્ત વળતર આપ્યું છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે 3 જાન્યુઆરીએ તેનો શેર રૂ. 373.12 પર હતો. છેલ્લા એક વર્ષમાં જ્યોતિ રેઝિન્સનો સ્ટોક 235.55 ટકા વધ્યો છે. આ સ્ટૉકનું 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ.323.00 છે. તો 52 સપ્તાહનો સૌથી વધુ 1,818.45 રૂપિયા છે, જે તેણે 15 સપ્ટેમ્બર 2022ના રોજ હાંસલ કર્યો હતો.
કંપની શું બનાવે છે?
જ્યોતિ રેઝિન અને એડહેસિવ્સ સિન્થેટિક રેઝિન એડહેસિવ્સનું ઉત્પાદન કરે છે. તે યુરો 7000 બ્રાન્ડ નામ હેઠળ વિવિધ પ્રકારના લાકડાના એડહેસિવ્સ (સફેદ ગુંદર) બનાવે છે. કંપનીએ આ બ્રાન્ડને વર્ષ 2006માં લોન્ચ કરી હતી. અહેવાલો મુજબ તે હવે બજારમાં બીજી સૌથી મોટી વેચાતી એડહેસિવ બ્રાન્ડ છે.
કંપનીના નાણાકીય પ્રદર્શનના આંકડાઓ પર નજર કરીએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેની આવકમાં વધારો થયો હતો. પરંતુ નફામાં ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો રૂ. 9.07 કરોડથી ઘટીને રૂ. 8.82 કરોડ થયો હતો, જ્યારે આવક રૂ. 63.9 કરોડથી વધીને રૂ. 65.65 કરોડ થઈ હતી.