ગીરની આસપાસનાં વિસ્તારોનાં લોકો દીપડાથી ત્રસ્ત થઈ ગયાં છે. છેલ્લા ઘણાં સમયથી ગીર જંગલ નજીક વિસ્તારોમાં દીપડાઓના હુમલાઓ વધી રહ્યા છે. જેમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે અને ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયાં છે.
ગીરનું જંગલ નાનું થતાં આ સમસ્યામાં વધારો થયો
દીપડાઓ હવે દરિયાકાંઠા સુધી પહોંચી ગયાં છે
માનવભક્ષી દીપડાઓને લીધે ખેડૂતો ત્રસ્ત
ગીરમાં અસંખ્ય દીપડાઓનો કાયમી વસવાટ
ગુજરાત વન વિભાગ કુલ 4 રેન્જમાં સમાયેલું છે. પૂર્વ,પશ્ચિમ,ઉત્તર અને દક્ષિણ આ 4 રેન્જ પૈકીની 2 રેન્જ પૂર્વ અને પશ્ચિમમાં બૃહદ ગીરનું જંગલ આવેલું છે. જે 1412 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ ગીરનાં જંગલમાં જ ગીર નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી એરિયા આવેલો છે. ગીરનું આ જંગલ કુલ 3 જિલ્લાને સ્પર્શે છે. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી. આ ત્રણ જિલ્લાને અડીને આવેલાં બૃહદ ગીરમાં અસંખ્ય દીપડાઓનો કાયમી વસવાટ છે.
સૌથી વધુ દીપડા અહીં હુંમલા કરે છે
ગીર સોમનાથ જિલ્લાની વાત કરી એ તો તેનો મોટાભાગનો વિસ્તાર ગીરને અડીને આવેલો છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ 6 તાલુકો આવેલા છે. જેમાં વેરાવળ, તાલાળા, કોડીનાર, સુત્રાપાડા, ગીર ગઢડા અને ઉના તાલુકાનો સમાવેશ થાય છે. જોકે આ તમામ તાલુકોઓમાં દર વર્ષે દીપડાઓનાં હુમલામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થાય અને અનેકના મોત થાય છે. પરંતુ સૌથી વધુ હુમલાઓ સુત્રાપાડા, કોડીનાર અને ગીર ગઢડામાં થાય છે.
ગીરનાં જંગલમાં 1200ની આસપાસ દીપડા વસે છે
આજકાલ ગીરનું આ જંગલ વન્ય પ્રાણીઓ માટે નાનું થતું હોય તેવું લાગી રહ્યું છે. જંગલ નાનું થવાનાં કારણે જ દીપડાઓ છેક દરિયા કિનારા સુધી પહોંચ્યાં છે. બીજી તરફ દીપડાની સંખ્યામાં ઝડપથી વધતી વધારો થાય છે. જૂનાગઢ વનવિભાગનાં અધિકારી ડીસીએફનાં જણાવ્યાં મુજબ ગીર જંગલમાં 1200 ની આસપાસ દીપડાઓનો વસવાટ છે.
દર વર્ષે 100 લોકો દીપડાનાં હુમલાનો શિકાર
દર વર્ષે દર 100 વ્યક્તિઓ પર દીપડાઓ હુમલા કરે છે અને જેમાંથી 9 જેટલાં લોકો જીવ ગુમાવે છે. જ્યારે 80 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થાય છે. જોકે છેલ્લાં એકાદ મહિનાથી માનવભક્ષી દીપડાએ એવી તો દહેશત ઉભી કરી છે કે, જૂનાગઢનાં વિસાવદર, માળીયા હાટીના, ગીર સોમનાથનાં ગીર ગઢડા, કોડીનાર અને અમરેલીનાં બગસરામાં દીપડાએ લોકો પર હુમલા કર્યા છે. જેમાં 5 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે.
દીપડા દરિયાકાંઠા સુધી પહોંચ્યા
દીપડો ગીર જંગલ સિવાય પણ અન્ય જગ્યાએ વસવાટ કરે છે. ગીર જંગલ છોડી દીપડાઓ મોટાભાગે હવે ખેડૂતના ખેતરોમાં જોવા મળે છે. માત્ર ગીર જંગલ જ નહીં પણ દરિયા કાંઠા સુધી દીપડાઓ પહોંચીયા છે. અને ખેડૂત બિચારો લાચાર થઈ ખેતી કરી રહ્યો છે અને ન કરે તો પોતાની મહેનત માથે પડે ને કરે તો દીપડાનો શિકાર બને.
દીપડાઓ ખેતરોને ઘર બનાવ્યું છે
હવે જયારે ખેડૂતો પોતાની વાડી માં રખોપુ કરવાં માટે અથવા રાત્રીનાં વાડીમાં પાણી વાળવા માટે જાય ત્યારે અચાનક ઘાસ અથવા શેરડીનાં પાકમાં જે દીપડાઓ વસવાટ કરતાં હોય તે અને ખેડૂતનો ભેટો થાય છે. આ સંજોગોમાં દીપડાને એવું લાગે કે ખેડૂત તેનાં પર હુમલો કરશે તેથી કે દીપડો ખેડૂત પર હુમલો કરી દેતો હોય છે.
ભોગ બનનારને સરકાર 4 લાખની સહાય આપે છે
દીપડાઓના હુમલા વધી રહ્યા છે. ત્યારે વનવિભાગ દવરા દીપડાનાં હુમલામાં ભોગ બનનાર વ્યક્તિનાં પરિવાર ને 4 લાખ રૂપિયાની રોકડ સહાય તેમજ ઈજાગ્રસ્ત થાય તો હોસ્પિટલનો તમામ ખર્ચ વનવિભાગ એટલે કે સરકાર દ્વારા આપવામાં આવે છે.
દીપડાઓ માનવભક્ષી બન્યાં છે
ગીર પંથકમાં દિપડાઓનો આંતક વધી રહ્યો છે. ત્યારે ગીરના ગામડાના ખેડૂતો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યાં છે. ત્યારે હાલ ઘણાં સમયથી દિપડાઓ ગીર છોડી ગામડાં પંથકમાં વસવાટ કરી રહ્યાં છે. છેલ્લાં બે મહિના ના ની અંદર દિપડા માનવ ભક્ષી બન્યાં હોય તેમ 10 થી12 હુમલા કરી ચુક્યાં છે. જ્યારે ગીરની બોર્ડરને અડીને આવેલાં ગામડાઓમાં દિપડાઓ રાત્રીનાં સમયે પાલતું પશુઓનો શિકાર કરવાં સમી સાંજનાં પહોંચી જાય છે તો ખેડૂતો અને ગામ લોકોની અંદર દિપડાને લઈને ભયનો માહોલ છે