કોરોના વાઇરસ સંકટ દેશ અને દુનિયામાં હજુ પણ અકબંધ છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કોરોના વેક્સિનને લઇ મોટું નિવેદન કરતાં જણાવ્યું હતું કે હું ભારતના પ્રત્યેક નાગરિકને જણાવું છું કે કોરોના વેક્સિન દરેક નાગરિકને ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કોઇ પણ વ્યક્તિ કોરોના વેક્સિનથી વંચિત રહેશે નહીં.
"દરેક નાગરિકને મળશે કોરોના વેક્સિન": પીએમ મોદી
"ભારતીય અર્થતંત્ર સુધારાના માર્ગે છે": વડાપ્રધાન
"ભારત હજુ પણ 5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે": પ્રધાનમંત્રી મોદી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકારે સમયસર પગલાં લઇને લોકડાઉન લાગુ કરતાં ઘણા બધા લોકોના જીવ બચી ગયા હતા. તેમ છતાં હજુ કોરોના વાઇરસનું સંકટ ચાલુ છે અને લોકોએ સતર્કતા દાખવવી પડશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે હજુ પણ વર્ષ ૨૦૨૪ સુધી પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમીનું લક્ષ્ય પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધ છે. વડા પ્રધાને કહ્યું કે ટીકાકારો સરકારની છબી ખરાબ કરવા માગે છે.
ધી ઈકોનોમિક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા આશાથી પણ વધુ ઝડપથી પાટા પર પરત ફરી રહી છે, જોકે સુધારાવાદી પગલાં દુનિયાને સંકેત છે કે નવું ભારત બજારની તાકાત પર ભરોસો કરે છે. તે રોકાણનું સૌથી મનપસંદ ડેસ્ટીનેશન બનશે.
વડા પ્રધાને આ ઇન્ટરવ્યૂમાં ઇકોનોમી, કોવિડ-૧૯, રોકાણ, સુધારા જેવા અનેક મુદ્દા પર વાત કરી. કોવિડ મહામારી બાદ ઝડપથી બદલાતી દુનિયામાં નવા ભારતની શું ભૂમિકા હશે તે અંગે પણ વાત કરી.
ભારતમાં કોરોના મહામારી ફેલાયા બાદનો આ પ્રથમ વિસ્તૃત ઇંટરવ્યૂ
ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાયા બાદ પીએમ મોદીનો આ પહેલો વિસ્તૃત ઇન્ટરવ્યૂ છે. વડા પ્રધાને મહામારી સામે સરકારે લડેલા જંગ અને દેશની ઇકોનોમી પર ખૂબ જ ભાર મૂક્યો.
ચીન નું નામ લીધા વગર તેઓએ કહ્યું કે મહામારી બાદ દુનિયામાં ભારત મેન્યુફેકચરિંગ અને સપ્લાય ચેઇનની વ્યવસ્થામાં અગ્રણી દેશોમાં સામેલ થશે. ભારત બીજા દેશોની નુકસાનથી ફાયદો ઉઠાવવામાં વિશ્વાસ નથી રાખતો, પરંતુ ભારત પોતાના લોકતંત્ર, જનસંખ્યા અને ઊભી થયેલી ડિમાન્ડથી આ મુકામ હાંસલ કરશે.