આમ તો દરેક વ્યક્તિ પોતાના પરિવાર માટે નોકરી કરતો હોય છે પણ શું કોઈ એવી વ્યક્તિ હોઈ શકે જે પોતાનો આખે આખો પગાર સેવાકીય પ્રવૃત્તિ પાછળ વાપરી નાખે? કોઈ એવો કર્મચારી જોયો છે. જે પોતાનો પગાર સમાજના બાળકોની કુપોષણ નાબુદી માટે ખર્ચી નાખે અને તે પણ એક બે નહીં પરંતુ છેલ્લા 26 વર્ષથી. અમે આપની એક એવા સરકારી કર્મચારીની મુલાકાત કરાવીશું. જે પોતાનો પગાર સમાજસેવા પાછળ ખર્ચી નાખે છે અને તેમનો પરિવાર આ વાત પર ગર્વ પણ લઈ રહ્યો છે. જોઈએ એક સરકારી કર્મીના રૂપમાં રહેલા સમાજ સેવકનો આ અહેવાલ.
કહેવાય છે કે કેટલું જીવ્યા તે મહત્વનું નથી પણ કેવું જીવ્યા તે મહત્વનું છે. કેટલાક લોકોનું જીવન એક સંદેશ સમાન હોય છે. આવા જ એક વ્યક્તિ છે ભરતભાઈ પ્રજાપતિ મહેસાણા જિલ્લામાં વસવાટ કરતા અને ગુજરાત સરકારમાં ફાર્મસિસ્ટ તરીકે ફરજ બજાવતા ભરતભાઇ છેલ્લાં 26 વર્ષથી સરકારી નોકરી કરી રહ્યા છે પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે તેઓ ઓ આ 26 વર્ષના કાર્યકાળ દરમિયાન પોતાના પગારનો એક રૂપિયો પણ ક્યારેય ઘરે નથી લઈ ગયા.
છેલ્લા 26 વર્ષથી ભરત ભાઈ પ્રજાપતિ તેમને સરકાર તરફથી મળતો તમામ પગાર શિક્ષણ અને કુપોષણ પાછળ ખર્ચ કરી રહ્યા છે. ભરતભાઈ દર વર્ષે 50 ગરીબ બાળકોને દત્તક લે છે અને તેમના શિક્ષણનો તમામ ખર્ચ પોતાના પગારમાંથી ઉપાડે છે. એટલું જ નહીં સગર્ભા મહિલાઓ અને કુપોષણથી પીડાતા બાળકોને યોગ્ય આહાર મળી રહે તે માટે ભરતભાઇ પોતાના પગારમાંથી સુખડી તૈયાર કરીને સિવિલ હોસ્પિટલ અને વિવિધ દવાખાનામાં વિતરણ કરે છે. આ સેવાકીય પ્રવૃત્તિ પાછળ ભરતભાઈનો તમામ પગાર ખર્ચાઈ જાય છે. આમ તો તેમનો પગાર પાંસઠ હજાર જેટલો છે પરંતુ તેનાથીયે મોટું તેમનું હૃદય છે. ભરતભાઇના આ કાર્યથી તેમનો પરીવાર અને તેમના અધિકારી પણ ગૌરવ લઈ રહ્યા છે.
હવે આપને પ્રશ્ન થશે કે જો ભરતભાઇ આખે આખો પગાર સેવાકીય પ્રવૃત્તિ પાછળ ખર્ચી નાખે છે તો તેમના પરિવારનું પોષણ કેવી રીતે થતું હશે. તો એનો જવાબ એ છે કે ભરતભાઇ તેમના ગુરુની આજ્ઞાથી વર્ષોથી સાધુ જેવું સાદું જીવન જીવે છે. સેવાભાવી ભરતભાઇ અને તેમના પરિવારને તકલીફ ન પડે તે માટે સ્થાનિક લોકોએ ભરતભાઇ ને એક આશ્રમ સ્થાપી આપ્યો છે. આ આશ્રમમાં ભરતભાઇનો પરીવાર ખેતી કરે છે અને ત્યાંજ વસવાટ કરે છે. જેના કારણે ભરતભાઇના પરિવારનો નિર્વાહ ચાલી જાય છે. વર્ષ 1992થી સેવાકીય પ્રવૃત્તિ પાછળ પોતાનો પગાર ખર્ચી નાખનાર ભરતભાઇને તેમના પરિવાર તરફથી પૂરતો સહકાર મળતો રહે છે. સેવાકીય પ્રવૃત્તિ પાછળ પોતનું વેતન ખર્ચી નાખનાર ભરતભાઈને આ સેવાકાર્યથી નિજાનંદ મળી રહ્યો છે.
ભરતભાઈના આ સેવાયજ્ઞમાં તેમના પરિવારજનો પણ હોંશે હોંશે મદદ કરી રહ્યા છે. તેમના પત્ની પણ ભરતભાઇના પગલે આશ્રમમાં જ જીવન ગાળે છે અને સરકારી નોકરીમાંથી મળતો પગાર ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણ પાછળ ખર્ચ કરી દેવાય છે. તેમા વધારે બાળકોને લાભ મળે તેની ચિંતા પણ તેમના પત્ની કરે છે.
આ કાર્ય માટે ભરતભાઇએ કોઈની પાસે ક્યારેય મદદ પણ નથી માંગી. તેમને જેટલો પગાર મળે છે અને તે પગારમાંથી જેટલું કરી શકાય તે ખર્ચ તે સમાજસેવા પાછળ ખર્ચી નાખે છે. આ કારણે 26 વર્ષ સરકારી નોકરી અને 65000 જેટલા ઊંચા પગાર પછી પણ ભરતભાઇ પાસે આજે પોતાનું મકાન પણ નથી પરંતુ તેમના પુત્રને આ બાબતનો જરા પણ અફસોસ નથી. કેમ કે જેનો પિતા આટલો ઉદાર હોય તેના સંતાનમાં શું ખામી હોઈ શકે. તેમના પુત્ર વિશ્વાસ પણ પિતાની સેવાકીય પ્રવૃત્તિ બદલ ગૌરવ અનુભવી રહ્યા છે. પિતા પાસેથી આવો વારસો પ્રાપ્ત કરવા બદલ તેમના પુત્ર ખુબજ ખુશ છે.
સંસ્કૃતમાં એક પંક્તિ છે 'ત્યન તજ્યન ભુજ્જીથા' એટલે કે તેને ત્યાગીને ભોગવ' આ વિચાર ભરતભાઈએ છેલ્લા 26 વર્ષથી આત્મસાત કર્યો છે. નહિતર ભોગવાદના આ વાતાવરણમાં ગાંઠના ગરથથી કોણ સેવા કરવા નીકળે છે. ભરતભાઈની સેવાકીય પ્રવૃત્તિને વીટીવી તરફથી શત શત અભિનંદન.