પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જંત્રીના ભાવ વધારા મામલે નિવેદન આપતા કહ્યું, ગરીબ લોકોને પોતાનું ઘર બને માટે સરકારે વધારો કર્યો નહોતો
જંત્રીના ભાવ વધારા મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન
રાજ્ય સરકારે 11 વર્ષથી જંત્રીના ભાવમાં નથી કર્યો વધારો: નીતિન પટેલ
દેશના મોટાભાગના રાજ્યો દર 2-3 વર્ષે જંત્રીના ભાવ વધારે છે: નીતિન પટેલ
જંત્રીની આવકમાંથી રાજ્ય સરકાર બીજા કામો કરી શકે છે: નીતિન પટેલ
રાજ્યમાં જંત્રીના ભાવમાં ડબલ વધારા બાદ બિલ્ડર્સમાં રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ સાથે આજે બિલ્ડર એસોસિએશને મુખ્યમંત્રી સાથે બેઠક પણ યોજી હતી. આ બધાની વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જંત્રીના ભાવ વધારા મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે 11 વર્ષથી જંત્રીના ભાવમાં વધારો કર્યો નથી. દેશના મોટાભાગના રાજ્યો દર 2-3 વર્ષે જંત્રીના ભાવ વધારે છે.
ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, ગુજરાત સરકારે રાજ્યના વિકાસ માટે અને ગરીબ લોકોને ઘરનું ધર મળી રહે તે માટે 11 વર્ષ જંત્રીના ભાવમાં વધારો કર્યો નહતો. જેથી અત્યારે જંત્રીમાં થયેલો ભાવ વધારો મારા મતે વ્યાજબી છે. વધુમાં તેમણે કહ્યું કે, કોરોનાકાળમાં સરકારની આવક બંધ થઇ હતી. આ જંત્રીની આવકમાંથી સરકાર બીજા કામો કરી શકે છે. જેથી સરકારે જંત્રીના ભાવ વધાર્યા તે વ્યાજબી છે.
નીતિન પટેલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ બેફામ નિવેદન આપે છે. વિધાનસભા ચૂંટણીમાં પ્રજાએ કોંગ્રેસને પાઠ ભણાવ્યો હતો. આમ છતાં કોંગ્રેસ વાસ્તવિકતા સમજી શકી નથી. જેથી કોંગ્રેસે પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરીને વાસ્તવિક જમીન પર ઉતરવાની જરૂર છે.
આજથી જંત્રીનો ભાવ વધારો અમલમાં
આજથી જંત્રીનો ભાવ વધારો અમલમાં આવ્યો છે. આ તરફ આજે જંત્રીના કરવામાં આવેલા ભાવ વધારાના વિરોધમાં ક્રેડાઈ ના હોદ્દેદારો સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી સાથે બેઠક પૂર્ણ થયા બાદ જણાવાયું કે, મુખ્યમંત્રીએ યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી છે. આ તરફ હવે ક્રેડાઇ અને ડેવલપર્સની મીટીંગ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે અધિકારીઓની બેઠક શરૂ થઈ છે. જેમાં CMના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા સહિતના અધિકારીઓ હાજર છે. જોકે હવે રજુઆત બાદ જંત્રીના ભાવ વધારા અને સમય અંગે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે.