લગ્નનમાં લોકો લાખો કરોડોનાં ખર્ચ કરતાં હોય છે. ત્યારે આજની પેઢી પોતાનાં લગ્નને લઈને કંઈક અલગ તો કરતી જ હોય છે સાથે સાથે તેઓ સમાજના કલ્યાણ માટે અનેક એક્ટિવીટી પણ કરતાં હોય છે. જેથી તેઓ આ શુભ પ્રસંગે સમાજને કંઈક આપી શકે. અમદાવાદી એક યુવકે પોતાનાં લગ્ન પ્રસંગને ધ્યાનમાં રાખીને કંઈક એવું કર્યું છે કે ગુજરાતનાં સીએમ અને ડેપ્યુટી સીએમે પણ વખાણ કર્યા છે.
અમદાવાદમાં રહેતાં રાહુલ પટેલનાં લગ્ન 1 નવેમ્બરનાં રોજ રિદ્ધિ પટેલ સાથે થવા જઈ રહ્યાં છે. આ પ્રસંગે તેમણે એક એવી કંકોત્રી છપાવી છે કે જે પસ્તી, ભંગાર, કે ચૂલામાં નહીં જાય. જી હાં તેમણે કંકોત્રી ચકલીનાં માળા પર છપાવી છે. કે પછી એમ માનીલો કંકોત્રી ચકલીનાં માળા જેવી ડિઝાઈનમાં પ્રિન્ટ કરાવી છે.
શહેરોમાં ઓછી દેખાતી ચકલીઓ પાછી આવે તેવો હેતુ
ચકલીનો માળો બનાવી તેનાં પર આમંત્રણ આપવાનું કારણે એ છે કે ચકલીઓને રહેવા માટેનો એ આશ્રય તૈયાર કરવામાં આવ્યો છે. લોકો કંકોત્રી સાચવે તેમાં રસ નહોતો પણ તેમનાં ધરે ચકલીનો માળો હોય તો શહેરોમાં ઓછી દેખાતી ચકલીઓ પાછી આવે તે હતો.
કંકોત્રીનાં કાગળનો સદ ઉપયોગ થાય એ જરુરી હતું
આ વિશે વાત કરતાં રાહુલ પટેલ કહે છે કે, સામાન્ય રીતે જ્યારે કંકોત્રી આપવામાં આવે છે ત્યારે લોકો તેનો ઉપયોગ કર્યાં બાદ તેને સળગાવી દે અથવા પસ્તીમાં આપી દેતા હોય છે. તે કાગળનો કોઈ મોટો ઉપયોગ થતો હોતો. મારી કંકોત્રી છપાવાની વાત થઈ ત્યારે મે વિચાર્યું હતું કે મારે પર્યાવરણ અને પક્ષીઓ માટે કંઈક કરવું છે. તેથી મે આવાં પુઠાનાં ચકલીનાં માળા પહેલાં જોયેલાં હતાં. આથી મે ચકલીનાં માળાવાળી કંકોત્રી છપાવવાની નક્કી કર્યું. જેથી લોકો તેમનાં ઘરમાં માળો લગાવે તો ચકલીઓ આવે અને બીજુ કે કાગળનો સદ ઉપયોગ થાય.
CM અને Dy. CMએ કર્યા વખાણ
રાહુલે આ કંકોત્રી સીએમ વિજય રુપાણી અને ડેપ્યુટી સીએમ નીતીન પટેલને રુબરુમાં આપી છે. તેઓએ તેમનાં આ કન્સેપ્ટને ખૂબ વખાણ્યો છે. તેમજ નીતીન પટેલે કહ્યું હતું કે તમારા જેવા નવ યુવાનો જ દેશનાં વિકાસમાં ભાગીદાર બની રહ્યાં છે. તમારુ આ પગલું સરાહનીય છે. જ્યારે રાહુલે પ્રધાનમંત્રી મોદીને પણ કુરીયરથી કંકોત્રી મોકલી આપી છે. રાહુલનાં સંબંધીઓ રાહુલને ચકલીનો માળો પોતાનાં ઘરે લગાવી ફોટા પાડી વોટ્સએપ કરે છે. સાથે સાથે કેટલાક સંબંધીઓનાં ઘરમાં આ માળામાં ચકલીઓ આવી હોવાથી તેનાં ફોટો વીડિયો મોકલે છે.