જામનગરના જનપ્રતિનિધિઓ દ્વારા જન્મદિવસની ઉજવણી અનોખી રીતે ઉજવવાની પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. કોરોનાકાળમાં જામનગરવાસીઓને મદદરૂપ થવા પ્રધાનમંત્રી આકસ્મિક વીમા યોજનાનો લાભ આપવામાં આવશે. શહેરના દરેક પરિવારના મુખ્ય વ્યકિતનો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ રૂપિયા 2 લાખનો વીમો લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વીમાના પ્રીમિયમની એક વર્ષની સંપૂર્ણ રકમ કૃષિ મંત્રી આર.સી.ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ પૂનમબેન માડમ ચૂકવશે.
જામનગરની બંને વિધાનસભાની બેઠકમાં સમાવેશ થતા દરેક પરિવારને આ યોજનાનો લાભ મળશે. જામનગર શહેરમાં આશરે એક લાખ વીસ હજાર પરિવાર વસવાટ કરે છે. જે મુજબ દરેક પરિવારની મુખ્ય વ્યક્તિ ગણીએ તો અંદાજે 1 લાખ 20 હજાર વ્યક્તિઓનું જે પ્રીમિયમ ભરવાનું થશે. આ પ્રીમિયમની તમામ રકમ બંને ધારાસભ્યો અને સાંસદ અંગતરીતે ભરી આપશે. બંને ધારાસભ્યોના જન્મ દિવસના ગાળા દરમિયાન આ યોજનાનો લાભ લઇ શકાશે.
શું છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
આ વીમા હેઠળ જે લોકોની ઉંમર 18થી 70 વર્ષ હોય તેવા લોકો આ યોજનામાં જોડાઈ શકે છે. વાર્ષિક પ્રિમિયમ વ્યક્તિ દીઠ રૂ. 12 ચૂકવવાનું હોય છે. ખાતાધારકના સંબંધિત બેંક એકાઉન્ટમાંથી પ્રિમિયમની રકમ “ઓટો ડેબિટ” થઈ જતી હોય છે. અને જો તેમની વીમા પોલિસી શરૂ હોય અને અકસ્માતમાં નિધન થાય છે. તો તેમના પરિવારને 2 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. અને જો શરીરનું કોઈ અંગ ગુમાવે છે તો 1 લાખ રૂપિયા પરિવારને પ્રાપ્ત થાય છે.